Gujarat

ઉત્તમ ડેરી વિવાદ: રસ્તા પર દૂધની નદીઓ વહાવી વિધાનસભા તરફ કૂચ, પૂતળા દહનથી મામલો ગરમાયો

By GS TEAM
19 Mar 20262 mins read
TukuTouch Logo
આ વિવાદને કારણે 91 દૂધ મંડળીઓના અંદાજે 15 હજાર પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી પશુપાલકોનું 2 લાખ લીટર દૂધ ડેરી દ્વારા સ્વીકારવામાં ન આવતા તે વેડફાઈ રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્તમ ડેરી વિવાદ: રસ્તા પર દૂધની નદીઓ વહાવી વિધાનસભા તરફ કૂચ, પૂતળા દહનથી મામલો ગરમાયો

Uttam dairy : ઉત્તમ ડેરી અને પશુપાલકો વચ્ચેનો વિવાદ હવે આક્રામક બનીને રોડ પર આવી ગયો છે. પૂરતા ભાવ ન મળવા અને મધુર ડેરીમાં દૂધ સ્વીકારવા પર પ્રતિબંધ લાદવામાં આવતા હજારો પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ આંદોલનના પહેલા જ દિવસે ઉગ્ર દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં પશુપાલકોએ ડેરીના ચેરમેન અને સરકાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે.

15 હજાર પશુપાલકો પાયમાલ

આ વિવાદને કારણે 91 દૂધ મંડળીઓના અંદાજે 15 હજાર પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી પશુપાલકોનું 2 લાખ લીટર દૂધ ડેરી દ્વારા સ્વીકારવામાં ન આવતા તે વેડફાઈ રહ્યું છે. પશુપાલકોનો ગંભીર આક્ષેપ છે કે, ઉત્તમ ડેરીના ચેરમેન મોહન ભરવાડ સામે સરકાર કેમ ઝૂકી રહી છે? સરકારની આ નરમાશ સામે પશુપાલકોએ આરપારની લડાઈ શરૂ કરી છે.

આ પણ વાંચો : હીરાની દલાલીમાં 50 લાખનું દેવું થઈ જતાં સુરતના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો

બાઉન્સરોને જોઈ પશુપાલકો ભડક્યાં 

આંદોલનકારી પશુપાલકો જ્યારે ઉત્તમ ડેરીના ચિલિંગ સેન્ટરને તાળાબંધી કરવા પહોંચ્યા, ત્યારે ત્યાં અગાઉથી રહેલા બાઉન્સરોને જોઈને મામલો બિચક્યો હતો. ગુસ્સે ભરાયેલા પશુપાલકોએ ચિલિંગ સેન્ટરના દરવાજે જ કેન ઠાલવીને દૂધની નદીઓ વહાવી દીધી હતી. આટલું જ નહીં, પશુપાલકો મોટી સંખ્યામાં ટ્રેક્ટરો લઈને નેહરુ ચોકડીથી સીધા વિધાનસભા તરફ કૂચ કરવા નીકળ્યા હતા.

ગામડાઓમાં પૂતળા દહન અને નનામી

શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિરોધનો વંટોળ જોવા મળ્યો છે. અનેક ગામડાઓમાં પશુપાલકોએ ઉત્તમ ડેરીના ચેરમેન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ પ્રદર્શનના ભાગરૂપે પૂતળા દહન તેમજ પ્રતીકાત્મક નનામી કાઢી હતી. પશુપાલકોની માગ છે કે, તેમને દૂધના યોગ્ય ભાવ મળે અને દૂધ સ્વીકારવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવામાં આવે. જો કે તણાવપૂર્ણ સ્થિતિને જોતા પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે, પરંતુ પશુપાલકો પોતાની માગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી પીછેહઠ કરવા તૈયાર નથી.