Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે બરોડા ડેરી દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમ વિવાદમાં આવ્યો છે. આ કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓની હાજરી વચ્ચે જ નાના ભૂલકાઓ પાસે લાંબા સમય સુધી છાશ વિતરણનું કામ કરાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેને કારણે બરોડા ડેરીના સત્તાધીશોની કામગીરી પર સવાલો ઊઠ્યા છે.
નેતાઓના મંડપ સામે જ બાળકોએ છાશનું વિતરણ કર્યું
નસવાડીમાં યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા, સંખેડા વિધાનસભાના ધારાસભ્ય અભેસિંહ તડવી, બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલ અને ડેરીના સદસ્યો સહિત દૂધ મંડળીના પ્રમુખો અને પશુપાલકો મોટી સંખ્યામાં હાજર હતા. નેતાઓના મંડપ (સ્ટેજ)થી માત્ર 50 મીટરના અંતરે જ એક નાનો સ્ટોલ બનાવવામાં આવ્યો હતો.

આ સ્ટોલ પર ત્રણ જેટલા નાના બાળકો બરોડા ડેરીની છાશનું વિતરણ ત્રણ કલાક સુધી સતત કરતા રહ્યા હતા. આ ઘટના ડેરીના સત્તાધીશોની બેદરકારીનો 'વરવો નમૂનો' ગણાય છે, જ્યાં વિશાળ જનમેદની અને મંચ પર હાજર નેતાઓ સામે જ નાના ભૂલકાઓ પાસે કામ કરાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: અમરેલી: 'સલામત સવારી' ST બસની અડફેટે દંપતી આવ્યું, મહિલાનું કમકમાટીભર્યું મોત

ડેરી પ્રમુખનો ગોળગોળ જવાબ
આ વિવાદ અંગે જ્યારે બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે જવાબ આપીને છટકવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'બાળકો છાશનું વિતરણ કરતા હતા તેની મને કોઈ જાણ નથી. અમે બાળકોને કામે લગાડ્યા નથી.' જો કે, નેતાઓ અને ડેરીના પ્રમુખની નજર સામે જ બાળકો કામ કરી રહ્યા હતા તેવા સ્પષ્ટ દ્રશ્યો સામે આવતા, પ્રમુખનો આ ગોળગોળ જવાબ સ્વીકાર્ય નથી તેવું સ્થાનિક લોકો માની રહ્યા છે. આ ઘટના બાળ શ્રમ અને કાર્યક્રમના સંચાલન પર ગંભીર સવાલો ઊભા કરે છે.


