કોમ્પ્યુુટરની પ્રેકટીકલ પરીક્ષામાં 50 વિદ્યાર્થીઓને નાપાસ કરતા હોબાળો
એમ.પી.વોરા કોમર્સ કોેલેજમાં બી.કોમ. સેમેસ્ટર-૬માં
પ્રિન્સીપાલે દોષનો ટોપલો સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પર ઢોળ્યો ઃ કોલેજ અને યુનિ.ના છબરડાના કારણે વિદ્યાર્થીઓના ભાવિ પર અસર
એબીવીપી અને ભોગ બનનાર વિદ્યાર્થીઓએ તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી
સુરેન્દ્રનગર - વઢવાણ કોઠારીયા રોડ પર આવેલ શ્રી એમ.પી.વોરા કોમર્સ કોલેજ ખાતે એબીવીપીના હોદ્દેદારો તેમજ કોલેજના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી તેમજ કોલેજના પ્રિન્સીપાલ સહિત સંચાલકો સામે બેદરકારી બદલ રોષ દાખવ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ વઢવાણ-કોઠારીયા રોડ પર આવેલ શ્રી એમ.પી.વોરા કોમર્સ કોલેજમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે બી.કોમ.ની સેમેસ્ટર-૬ માં કોમ્પ્યુટર વિષયની પ્રેકટીલ પરીક્ષામાં એક સાથે ૫૦ જેટલા વિદ્યાર્થીઓને ફેઈલ કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સહિત કોલેજના પ્રિન્સીપાલ સામે રોષ દાખવ્યો હતો અને આ અંગે કોઈ જ ઉકેલ ન આવતા મોટીસંખ્યામાં ભોગ બનનાર વિદ્યાર્થીઓ સહિત એબીવીપીના આગેવાનો કોલેજ ખાતે એકત્ર થયા હતા અને યુનિવર્સીટીના છબરડા સામે વિરોધ વ્યક્ત કરી કોલેજના પ્રિન્સીપાલની ચેમ્બરમાં હોબાળો મચાવ્યો હતો. જ્યારે વિદ્યાર્થીઓના હોબાળાના પગલે કોલેજના પ્રિન્સીપાલ સહિત પ્રોફેસરોમાં દોડધામ મચી જવા પામી હતી. આ મામલે કોલેજના પ્રિન્સીપાલ જી.એસ.દવેના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા કોમ્પ્યુટર વિષયની પ્રેકટીકલ પરીક્ષા લેવા આવેલ અધ્યાપક માર્ચની એન્ટ્રી કરવાનું ભુલી ગયા હોવાથી વિદ્યાર્થીઓને પ્રેકટીકલ પરીક્ષામાં ઝીરો માર્કસ આપવામાં આવ્યા હોવાનું જણાવી દોષનો ટોપલો સૌરાષ્ટ્ર યુનિવર્સીટી પર ઢોળ્યો હતો. જ્યારે બીજી બાજુ કોલેજ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના બેદરકારીના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ અસર પડતા તાત્કાલીક આ મામલે વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈ કોલેજ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી તેમજ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહિં આવે તો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ અને એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ ઉપરાંત છેલ્લા ઘણા સમયથી કોમ્પ્યુટર સાયન્સ વિભાગમાં પ્રોફેસર નથી જેના કારણે વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે માટે તાત્કાલીક ધોરણે પ્રોફેસરની નિમણુંક કરવામાં આવે, જે વિદ્યાર્થીઓએ રીએસએસમેન્ટની ફી ભરી દીધી છે તેમને ફી પરત આપવામાં આવે અને કોલેજના બંધ સીસીટીવી કેમેરા શરૃ કરાવવામાં આવે તેવી પણ માંગ કરી હતી.