Get The App

સૌરાષ્ટ્રમાં વધુ 3 ઈંચ સુધી વરસાદ 2 માનવી, 3 પશુએ જીવ ગુમાવ્યા

Updated: Jun 16th, 2025

GS TEAM


Google News
Google News
સૌરાષ્ટ્રમાં વધુ 3 ઈંચ સુધી વરસાદ 2 માનવી, 3 પશુએ જીવ ગુમાવ્યા 1 - image


સાવરકુંડલાનાં જાંબાળ ગામે ખોરાળીના રસ્તે  બળદગાડા સાથે લાલજીભાઈ હરજીભાઈ બરવાળીયા (ઉં.75) જ્યારે અને તેમના બળદના મોત   : ધારી તાલુકાના બોરડી ગામની સીમમાં વાડીએ ખેતમજૂરી કરતા કમલેશ ચેતનભાઈ લાસણ નામના 32વર્ષના શ્રમિક પર આકાશી વીજળી પડતા ઘટનાસ્થળે જ મોત 

રાજકોટ, : ગુજરાતમાં ચોમાસાનાં વિધિવત આગમનની જોવાતી રાહ વચ્ચે મેઘવર્ષા યથાવત રહી છે. આજે સૌરાષ્ટ્રમાં વધુ ત્રણ ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. જેમાં જૂનાગઢ અને અમરેલી જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારો જળબંબોળ બન્યા હતા. જ્યારે રાજકોટ, જામનગર, દેવભૂમી દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં ધૂંપછાંવનાં માહોલ વચ્ચે હળવા-ભારે ઝાપટાં વરસ્યા હતા. બીજી તરફ વરસાદી માહોલમાં બે માનવી અને ત્રણ પશુએ જીવ ગુમાવ્યા હતા.

રાજકોટ શહેરમાં આજે સવારથી આકાશ ગોરંભાયેલું રહ્યું હતું, પણ બપોરે વરસાદ પડવાનાં બદલે વાદળો વિખેરાઈ ગયા હતા. જ્યારે ધોરાજીમાં આજે ધોધમાર અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. છાડવાવદર ગામે ગાજવીજ સાથે બે ઈંચ વરસાદે માર્ગોને જળબંબોળ કરી દીધા હતા, પણ વીજળી પડતા બે પશુના મોત થયા હતા. બીજી તરફ જૂનાગઢ જિલ્લાના છ તાલુકામાં આજે એક થી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. જેમાં જૂનાગઢ અને વિસાવદરમાં એક ઈંચ, જયારે વંથલી, કેશોદ, મેંદરડામાં દોઢ ઈંચ, માણાવદરમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. મેંદરડા, વિસાવદર, માણાવદરના ગ્રામ્ય વિસ્તારમાં એક થી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. મધ્ય ગીરમાં આવેલા કનકાઈ જંગલ વિસ્તારમાં પણ દોઢ ઇંચ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

અમરેલી જિલ્લામાં આજે ખાંભામાં ધોધમાર અઢી ઈંચ વરસાદે જળબંબાકાર સર્જી દીધો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ ઈંચ સુધીના વરસાદથી નદીઓમાં પુર આવ્યું હતું. એ જ રીતે રાજુલામાં પોણો ઈંચ, સાવરકુંડલામાં અડધો ઈંચ અને અમરેલીમાં પા ઈંચ વરસાદથી માર્ગો પાણી-પાણી થઈ ગયા હતા. બગસરા, ધારી, ખાંભાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવા-ભારે ઝાપટાં વરસ્યા હતા. આ દરમિયાન બે કરૃણ બનાવ બન્યા હતા. જેમાં સાવરકુંડલાનાં જાંબાળ ગામે ખોરાળીના રસ્તે પ્રથમ વરસાદથી પાણી ભરાયા હતા, જેમાંથી પસાર થવા જતાં બળદગાડા સાથે લાલજીભાઈ હરજીભાઈ બરવાળીયા (ઉં. 75) અને તેમનો પુત્ર મુકેશ (ઉં. 40) તણાઈ ગયા હતા. જેમાં પુત્ર મુકેશનો બચાવ થયો હતો, જ્યારે પિતા લાલજીભાઈ અને તેમના બળદના મોત નીપજ્યા હતા. બીજી તરફ ધારી તાલુકાના બોરડી ગામની સીમમાં વાડીએ ખેતમજૂરી કરતા મૂળ દાહોદનાં કમલેશ ચેતનભાઈ લાસણ નામના 32વર્ષના શ્રમિક પર આકાશી વીજળી પડતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ગીર સોમનાથ જિલ્લામાં આજે તાલાલામાં બપોર બાદ મેઘરાજાનું આગમન થતાં લોકોએ કાળઝાળ ગરમીમાં રાહત અનુભવી હતી, જે ૮ મી.મી. વરસાદ નોંધાયો હતો. કોડિનારમાં ધોધમાર એક ઈંચ વરસાદ વરસી પડયો હતો. સુત્રાપાડામાં પણ જોરદાર ઝાંપટાએ માર્ગો ભીના કર્યા હતા. એ જ રીતે આજે જામનગર અને દેવભૂમી દ્વારકા જિલ્લામાં પણ છૂટા-છવાયા હળવા-ભારે ઝાપટાં પડયા હતા.

Tags :