છોટા ઉદેપુરના રૂમડિયામાં 'ગોળ ફર્યાનો મેળો': બાધા પૂર્ણ થતા લાકડાના મંચ પર ગોળ-ગોળ ફેરવવાની અનોખી પરંપરા, વિદેશીઓ ઉમટ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tribal Culture In Chhota Udepur: આદિવાસી સમાજ માટે હોળી એ માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ આસ્થા, શ્રદ્ધા અને વર્ષો જૂની સંસ્કૃતિને જીવંત રાખવાનો અવસર છે. છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા રૂમડિયા ગામમાં હોળીના પર્વે માનતા પૂર્ણ કરવાની એક એવી પરંપરા જોવા મળે છે જે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.
વતન તરફ પરત ફરવાનો પર્વ
આદિવાસી સમાજમાં હોળીનું મહત્ત્વ એટલું છે કે રોજગાર કે અન્ય કારણોસર રાજ્યના કોઈપણ ખૂણે ગયેલા લોકો આ દિવસે પોતાના વતન પરત ફરે છે. આ પર્વ પર પરિવાર સાથે મળીને આખા વર્ષ દરમિયાન દેવ સમક્ષ માનેલી માનતાઓ પૂર્ણ કરવામાં આવે છે. ધંધા-રોજગાર, લગ્ન કે આરોગ્ય માટે લેવાયેલી બાધા-આખડીઓ હોળીની પવિત્ર જ્વાળા સાક્ષીએ પૂરી કરાય છે.

રૂમડિયા ગામમાં માનતા પૂર્ણ કરવાની પદ્ધતિ ખૂબ જ અનોખી છે. અહીં જે વ્યક્તિની માનતા પૂર્ણ થઈ હોય, તેને લાકડાના એક ખાસ આડા મંચ (ગાડા જેવું માળખું) પર બાંધીને હવામાં ગોળ-ગોળ ફેરવવામાં આવે છે. પહેલી નજરે આ દ્રશ્ય જોખમી લાગે, પરંતુ ગામલોકોના મતે વર્ષોથી ચાલતી આ પરંપરામાં આજદિન સુધી કોઈને ઈજા થઈ નથી.

અહીં દેશ-વિદેશથી સહેલાણીઓ અહીં ઉમટી પડે છે
લોકો આ વિધિને પોતાના દેવ પ્રત્યેની પરમ આસ્થા અને વિશ્વાસ તરીકે જુએ છે. આ પ્રસંગે રૂમડિયા ગામમાં એક વિશાળ મેળો ભરાય છે. આ મેળાની વિશેષતા તેનું સાંસ્કૃતિક પાસું છે. રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ આદિવાસી યુવક-યુવતીઓ આકર્ષણ જમાવે છે. ઢોલ અને મંજીરાના તાલે ગ્રામજનો સામૂહિક નૃત્ય કરી પોતાની ખુશી વ્યક્ત કરે છે. આદિવાસી સંસ્કૃતિ, કલા અને અનોખા પહેરવેશને નિહાળવા માટે દેશ-વિદેશથી સહેલાણીઓ અહીં ઉમટી પડે છે અને આ મનોહર દ્રશ્યોને પોતાના કેમેરામાં કેદ કરે છે.

છોટા ઉદેપુરના રૂમડિયા ગામની આ હોળી આધુનિક યુગમાં પણ પેઢી દર પેઢી ચાલતી પરંપરા અને સમુદાયની એકતાનો જીવંત સંદેશ આપે છે. અહીં હોળી એ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ એક સામાજિક મિલન અને આદિવાસી અસ્મિતાનું ગૌરવ છે.








