Gujarat

અમરેલીના બગસરામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, લુધિયા ગામમાં તૈયાર પાક નાશ પામ્યો

By GS TEAM
20 Mar 20262 mins read
TukuTouch Logo
અમરેલી જિલ્લામાં ફરી એકવાર કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. જિલ્લાના બગસરા પંથકમાં ગઈકાલે (19મી માર્ચ) અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ મિની વાવાઝોડા સાથે ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોની આખી સીઝનની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને લુઘિયા ગામે પડેલા ભારે વરસાદથી તૈયાર પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો પાયમાલ થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીના બગસરામાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો, લુધિયા ગામમાં તૈયાર પાક નાશ પામ્યો

Crop Damage In Amreli: અમરેલી જિલ્લામાં ફરી એકવાર કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. જિલ્લાના બગસરા પંથકમાં ગઈકાલે (19મી માર્ચ) અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ મિની વાવાઝોડા સાથે ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોની આખી સીઝનની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને લુઘિયા ગામે પડેલા ભારે વરસાદથી તૈયાર પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો પાયમાલ થયા છે.

લુઘિયા ગામે 3થી 4 ઈંચ કમોસમી વરસાદ નોંધાયો!

મળતી માહિતી અનુસાર, બગસરાના લુઘિયા ગામે ગુરૂવારે સાંજે આકાશમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે વાવાઝોડું ફૂંકાયું હતું અને જોતજોતામાં 3થી 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. પૂરઝડપે ફૂંકાયેલા પવન અને ભારે વરસાદના કારણે ખેતરોમાં ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો. રસ્તાઓ પર પાણી ફરી વળતા જનજીવન પણ પ્રભાવિત થયું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં કમોસમી વરસાદ અને 'મિની વાવાઝોડા'એ તારાજી સર્જી, ખેડૂતોનો પાક પલળ્યો

કયા પાકોમાં થયું મોટું નુકસાન?

હાલ ખેડૂતોનો રવિ પાક તૈયાર થઈને લણણીના આરે હતો, ત્યારે જ આવેલા આ પ્રકોપથી નીચે મુજબના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘઉં અને ચણાના ઉભો પાક આડો પડી જતાં ગુણવત્તા બગડવાની ભીતિ. એરંડા અને રાયડો કાપણી સમયે જ વરસાદ પડતા પાક પલળી ગયો. મોંઘા ભાવના બિયારણ વાવીને તૈયાર કરેલો કલોંજીનો પાક ધોવાઈ જતાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે.

સરપંચે કરી વળતરની માંગ

મહિનાઓની મહેનત બાદ જ્યારે પાક ઘરે લાવવાનો સમય થયો ત્યારે જ વરસાદે તારાજી સર્જતા ખેડૂતોમાં ભારે હતાશા જોવા મળી રહી છે. લુઘિયા ગામના સરપંચ કિશોરભાઈ કાનપરીયાએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, 'ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને નુકસાની વેઠતા ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવામાં આવે.'

હાલમાં ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનો અંદાજ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે.