Get The App

જૂથવાદમાં બિનજરૂરી મિલ્ક પાઉડરની ખરીદીએ ઘી હોમ્યું

Updated: Jun 29th, 2025

GS TEAM

Google News
Google News
જૂથવાદમાં બિનજરૂરી મિલ્ક પાઉડરની ખરીદીએ ઘી હોમ્યું 1 - image


- 6 લાખથી વધુ પશુપાલકોનો આધારસ્તંભ દૂધ સાગર ડેરીમાં ચૂંટણી બાદ વિખવાદના બીજ રોપાયા

- હું સત્તા લાલચુ નથી, આ મામલે ભાજપ દ્વારા જે નિર્ણય કરાશે તે શિરોમાન્ય રાખીશ : વાઈસ ચેરમેન

મહેસાણા : મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લાના ૬ લાખથી વધુ પશુપાલકોનો આધારસ્તંભ એવી  દૂધ સાગર ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બાદ જૂથવાદના બીજ રોપાયા હતા અને શુક્રવારે મળેલી બોર્ડ ઓફ ડીરેકટર્સની બેઠકમાં પ્રશ્નોત્તરી દરમિયાન એકાએક ચેરમેન અશોક ચૌધરીએ વાઈસ ચેરમેન યોગેશ પટેલ ઉપર ધસી જઈને લાફા ઝીંકી દીધા હતા. આ ઘટના બાદ બન્ને જૂથો દ્વારા એકબીજા ઉપર આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થતાં વિવાદ વકર્યો છે. ડેરીમાં જૂથવાદના વિખવાદમાં બિનજરૂરી મિલ્ક પાઉડરની ખરીદીએ ઘી હોમવાનું કામ કરતાં જિલ્લાના દુધીયા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 

મહેસાણા દૂધ સાગર  ડેરીની બીજી ટર્મમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી ટાણે ડેરીમાં ચૂંટાયેલા ભાજપના ડિરેકટર્સમાં જૂથવાદના બીજ રોપાયા હતા. ત્યારબાદ ગઈકાલે મળેલી બોર્ડ મિટીંગમાં ઘુઘવાતો અસંતોષનો ચરૂ સપાટીએ ઉભરી આવ્યો હતો. જેમાં સર્જાયેલા લાફાકાંડની ઘટના પછી એકબીજા સામે આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો હતો. ડેરીના વર્તમાન ચેરમેન અશોક ચૌધરીના સમર્થનમાં  રહેલા મોટાભાગના ડિરેકટરોએ બોર્ડ મિટીંગમાં વાઈસ ચેરમેનના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવા છતાં તેઓ જતા રહ્યા હતા. જયારે લાફા મારવાની કોઈ ઘટના સર્જાઈ જ ન હોવાનું જણાવ્યું હતું. દરમિયાન, ડેરીના વાઈસ ચેરમેન યોગેશ પટેલે જણાવ્યું હતું કે, ડેરી તમામ સમાજના પશુપાલકોની છે. તેઓના હિતમાં સારો વહિવટ થાય તેવા પ્રયાસમાં મેં બોર્ડ મિટીંગમાં દૂધના પાવડરનો પુરતો સ્ટોફ હોવા છતાં પાંચ હજાર મેટ્રીકટન પાવડર ફેડરેશન પાસેથી કેમ ખરીદ્યો તેમજ સાગર પત્રિકામાં ડેરીનું બેંકનું દેવું ૧૭૯૦ કરોડ હોવા છતાં ખોટી હકિકત દર્શાવી હોવાના મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો હતો. વધુમાં તેમણએ પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને સાગરદાણના નામે બદનામ કરીને અશોક ચૌધરી ચૂંટણી લડયા હોવાનો આક્ષેપ કરતાં ઉમેર્યું હતું કે, સત્તાની તરફેણમાં વધુ સમર્થન હોય તે સ્વભાવિક છે.અમે ભૂતકાળમાં ચૂંટણીઓ વખતે બૂથો પર માર ખાધો છે એટલે ચેરમેન મોટા હોવાથી તેમણે લાફા માર્યા તેનો  કોઈ વાંધો નથી. ૩૦ વર્ષે પાટીદાર સમાજમાંથી પાર્ટીએ મને ડેરીનો વાઈસ ચેરમેન બનાવ્યો છે.હું સત્તા લાલચું નથી જેથી આ મુદ્દે પક્ષ દ્વારા જે નિર્ણય કરાશે તેને શિરોમાન્ય રાખીશ.

દૂધ સાગર ડેરીના વિવાદમાં રાજકીય દોરીસંચાર હોવાની સહકારી આલમમાં ચર્ચા

મહેસાણા દૂધ સાગર ડેરીમાં એકહથ્થુ શાસન કરનાર પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની પેનલને ચારેક વર્ષ અગાઉ યોજાયેલી નિયામક મંડળની ચૂંટણીમાં પરાજીત કરી ભાજપ સમર્થિત પેનલનો વિજય થયો હતો. પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન પદે અશોક ચૌધરી અને વાઈસ ચેરમેન તરીકે જલાબેન દેસાઈની વરણી થઈ હતી. ત્યારબાદ બીજી ટર્મના હોદ્દેદારોની ઓક્ટોબર ૨૦૨૪માં ચૂંટણી થતાં વર્તમાન  ચેરમેન અને ડિરેકટર કનુ ચૌધરીએ ચેરમેન માટે દાવેદારી નોંધાવતાં વિવાદ ઉદ્ભવ્યો હતો.. ભાજપે તે વખતે સેન્સ પ્રક્રિયા કર્યા બાદ ચેરમેન પદે અશોક ચૌધરીને રીપીટ કર્યા હતા અને વાઈસ ચેરમેન તરીકે સામેના જૂથના યોગેશ પટેલ ઉપર પસંદગી ઉતારી હતી.જેના લીધે ડેરીમાં ચૂંટાયેલા ભાજપ સમર્થિત ડિરેકટર્સમાં જૂથવાદ જોવા મળ્યો હતો. દરમિયાન શુક્રવારની બોર્ડ મિટીંગમાં બનેલી ઘટના બાદ જૂથવાદ સપાટીએ આવ્યો હતો. આ વિવાદમાં રાજકીય દોરીસંચાર હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે.

Tags :