Gujarat

યુનિ.નો પદવીદાન સમારોહ નવે.માં યોજાય તેવી શક્યતા

By GS TEAM
7 Oct 20251 min read
યુનિ.નો પદવીદાન સમારોહ નવે.માં યોજાય તેવી શક્યતા

વડોદરા,વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીનો ૭૪મો પદવીદાન સમારોહ નવેમ્બર મહિનામાં યોજાય તેવી શક્યતા છે.

દર વર્ષે યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ મોડો યોજાતો હતો જેના કારણે યુનિ.ના તંત્ર પર પ્રહારો કરવામાં આવતા હતા. ઘઘણીવાર તો પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપવા આવનાર અતિથિનું નામ નક્કી થઇ શકતું ન હતું. ગત વર્ષનો પદવીદાન સમારોહ ચાલુ વર્ષે ફેબુ્રઆરીમાં યોજાયો હતો. તત્કાલીન ઇન્ચાર્જ વીસીએ તેમના સમયમાં  એવું નક્કી કર્યું હતું કે પદવીદાન સમારોહમાં ઓગસ્ટમાં અથવા તો મોડામાં મોડું તા.૫ સપ્ટેમ્બરે થઇ જ જવો જોઇએ. જેને ધ્યાનમાં રાખીને યુનિ.તંત્રે બધી તૈયારી કરી લીધી હતી. આશરે ૧૪ હજાર વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા લાયક ઠર્યા હતા. યુનિ. તંત્રે ડિગ્રીઓ પણ છપાવી દીધી હતી. દરમિયાન  યુનિ.માં નવા વીસીની નિયુક્તિ થઇ ગઇ. નવા વીસીને યુનિ.ના માહોલમાં અનુકૂળ થવા માટે સમય લાગે તે સ્વાભાવિક છે, પરિણામે તા.૫ સપ્ટેમ્બરે પદવીદાન સમારોહ યોજવાનું પાછું ઠેલાયું. હાલ પરીક્ષાઓ ચાલે છે અને હવે દિવાળી વેકેશન પડશે, એટલે દિવાળી બાદ પદવીદાન સમારોહ યોજાય તેમ જણાઇ રહ્યું છે.