મહીસાગર નદીમાં અજાણ્યા યુવકની મોતની છલાંગ
- ઉમરેઠના લાલપુરા નજીકથી
- બ્રિજ ઉપરથી પડતા પિલ્લર સાથે અથડાતા ગંભીર ઈજાથી યુવકનું મૃત્યુ
આણંદ : ઉમરેઠ તાલુકાના લાલપુરા નજીકથી પસાર થતી મહીસાગર નદીના બ્રિજ ઉપરથી કોઈ અજાણ્યા યુવકે મોતની છલાંગ લગાવી હતી. મોતની છલાંગ લગાવનાર યુવક બ્રિજના પિલ્લર સાથે અથડાતા ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત નિપજ્યું હતું.
ઉમરેઠ તાલુકાના લાલપુરા નજીકથી પસાર થતી મહીસાગર નદીના બ્રિજ ઉપર ગત શનિવારની રાત્રિના સુમારે એક અજાણ્યા યુવકે નદીમાં પડતું મૂક્યું હતું. બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોએ આ દ્રશ્ય નિહાળતા તેઓ બ્રિજ ખાતે દોડી ગયા હતા. જોકે નદીમાં પડતું મૂકનાર અજાણ્યા યુવકનું બ્રિજના પિલર સાથે અથડાવાના કારણે માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થતા મોત નિપજ્યું હતું. ઉમરેઠ પોલીસની ટીમને આ ઘટનાની જાણ થતા ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્થાનિક તરવૈયાની મદદથી યુવકના મૃતદેહને બહાર કાઢયો હતો. પોલીસે હાલ તો અપ મૃત્યુની નોંધ નોધી મૃતકની ઓળખ અંગે તપાસ હાથ ધરી છે.