વડોદરા : ફતેગંજ ફ્લાય ઓવર બ્રિજ નીચે આઝાદીની ચળવળના વીર નાયકોના ચિત્રો બનાવવાની કામગીરી શરૂ
- મુંબઈના કલાકારો એ કામગીરી શરૂ કરી, કેટલાક ચિત્રો તૈયાર થઈ પણ ગયા
- 15 ઓગસ્ટ પહેલા બ્રિજના 20 પીલર ઉપર 75 ચિત્રો બનાવી દેવાશે
- વોટર પ્રુફ બનતા ચિત્રો પર પાંચ વર્ષ સુધી ચોમાસાની કોઈ અસર નહીં થાય
વડોદરા, તા. 18 જુલાઈ 2022 સોમવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફતેગંજ ફ્લાય ઓવર બ્રિજની નીચે 75 સ્વાતંત્ર સેનાનીઓના ચિત્રો બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આગામી તારીખ 15 મી ઓગસ્ટ પહેલા ચિત્રો તેમજ આઝાદીની ચળવળના અને નાયકોના સ્કલ્પર પણ મૂકી દેવામાં આવશે. મુંબઈના આશરે 25 કલાકારો છેલ્લા ત્રણ દિવસથી ચિત્રો બનાવવાની કામગીરી કરી રહ્યા છે.
હાલમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, તિલક, સુભાષચંદ્ર બોઝ, સયાજીરાવ ગાયકવાડ, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ વગેરે ના ચિત્રો તૈયાર કરવામાં આવી રહ્યા છે. ફતેગંજ ફ્લાય ઓવર બ્રિજ નીચે 20 પિલર છે. જેની આશરે 18,750 ચોરસ ફૂટ જગ્યામાં આ ચિત્રો બની રહ્યા છે. આ ચિત્રો વોટર પ્રુફ બની રહ્યા છે અને પાંચ વર્ષ સુધી ચોમાસામાં તેને નુકસાન ન થાય તે રીતે તૈયાર કરવામાં આવશે.
આ ચિત્રની સાથે સાથે જે તે દેશભક્તના પ્રેરણાત્મક વાક્યો પણ લખીને મૂકવામાં આવશે અને એ દ્વારા લોકો સુધી ત્યાગ, બલિદાન અને એકતા નો સંદેશ પહોંચાડવા કોર્પોરેશન દ્વારા પ્રયાસ થશે. બ્રિજની નીચે જે આઇલેન્ડ ની જગ્યા છે ત્યાં સ્કલ્પચર પણ મૂકવામાં આવશે.
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે શહેરમાં કોઈ એક જાહેર સ્થળે સ્વાતંત્ર સંગ્રામના વીર નાયકો ને અંજલી સ્વરૂપે આ કામગીરી કરવા વડાપ્રધાને અગાઉ ઓલ ઇન્ડિયા મેયર કોન્ફરન્સમાં સૂચન કર્યું હતું, જેના અનુસંધાનમાં આઝાદીના નાયકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા આ કાર્ય કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે.