AAPએ MLA ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા, પક્ષ વિરોધી ગતિવિધિનો આરોપ
AAP Gujarat: બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી આમ આદમી પાર્ટીના દંડક પદેથી રાજીનામું આપ્યા બાદ પાર્ટીએ ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. પાર્ટીએ પક્ષવિરોધી ગતિવિધિનો આરોપ લગાવ્યો છે. આ અંગે ઇસુદાન ગઢવીએ સત્તાવાર જાહેરાત કરી હતી.
બોટાદ આપના ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી સામે બાંયો ચડાવતાં આજે (ગુરૂવારે) દંડક અને જોઇન્ટ સેક્રેટરી સહિતના તમામ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ પાર્ટીએ કડક કાર્યવાહી કરતાં ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરતાં કર્યા છે અને પાર્ટી પક્ષવિરોધી ગતિવિધિઓનો આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ ઉમેશ મકવાણાએ રાજીનામું આપ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા ઓબીસી સમાજ અને પછાત વર્ગના નેતાઓનો ચૂંટણીમાં માત્ર ઉપયોગ થાય છે અને ચૂંટણી બાદ તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે.
ઓબીસીનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ થાય છે
કોંગ્રેસ છેલ્લા વર્ષોથી સત્તાથી દૂર છે તેમછતાં પછાત સમાજનો અવાજ બની શકી નથી. હું જ્યારે આપમાં અલગ અલગ હોદ્દાઓ પર હતો ત્યારે મને ખુદ અહેસાસ થઇ રહ્યો છે કે પછાત સમાજના મુદ્દા ઉઠાવવાના હોય છે ત્યારે પાર્ટી તરફથી ઉણપ જોવા મળે છે. હોદ્દા આપવાની વાત આવે ત્યારે સવર્ણ સમાજને હોદ્દા આપવામાં આવે છે. ચૂંટણી ટાણે ઓબીસીનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ થાય છે. ચૂંટણી પૂરી થઇ ગયા બાદ હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે.
પછાત લોકોના મુદ્દા ઉપાડવામાં દરેક પાર્ટી નિષ્ફળ નિવડી
મેં જે ઉદ્દેશ્યથી આમ આદમી પાર્ટી જોઇન કરી હતી તેમાં મને ક્યાંકને ક્યાંક ઉણપ જણાઇ રહી છે. ત્યારે વિધાનસભાના દંડક તરીકેની જવાબદારી હતી, જેથી રાજ્યના જોઇન્ટ સેક્રેટરી અને દંડક પદેથી રાજીનામું આપુ છું. મેં અરવિંદ કેજરીવાલને વોટ્સએપ કરી દીધું છે અને અપીલ કરી છે કે મને પાર્ટીના દરેક પદ પરથી જવાબદારીમાંથી મુક્ત કરે અને મારી જગ્યાએ કોઇ સારા વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવે.
પછાત સમાજના નેતાને ચૂંટણી પૂરતા ઉપયોગમાં લેવાય છે. પછાત લોકોના મુદ્દા ઉપાડવામાં દરેક પાર્ટી નિષ્ફળ છે. દરેક પાર્ટીમાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો વધતા જાય છે. દંડક અને AAPના રાષ્ટ્રીય માળખામાં પણ સેવા આપી છે. રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી તરીકે પણ રાજીનામું આપ્યું છે. AAPના કાર્યકર તરીકે કાર્યરત રહીશ.
ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા અંગે પ્રશ્ન પૂછવામાં આવતાં ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે હું બોટાદની જનતાને પૂછીને નિર્ણય કરીશ, હું મારી જનતાને અધવચ્ચે મૂકીશ નહી. જો રાજીનામું આપીશ તો અપક્ષ લડીશ કે નવી પાર્ટી બનાવીશ એ આગામી સમયમાં નક્કી કરીશ. ટૂંક સમયમાં પછાત સમાજના આગેવાનો સાથે બેઠક યોજાવવાની છે.
કડીનો દલિત નેતા એકલો પડી ગયો
તેમણે પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે ભાજપ-કોંગ્રેસ પછાત સમાજનો અવાજ ઉઠાવતી નથી, વિપક્ષની ભૂમિકામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે. કડીમાં આપની હારને લઇને ઉમેશ મકવાણાએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે બધા જ મોટા નેતાઓ વિસાવદરમાં હતા, કડીમાં કોઇ હાજરી ન હતી. કડીમાં મોટા નેતાઓની ક્યાંય હાજરી જોવા મળી ન હતી. કડીમાં દલિત સમાજનો 10 લાખની લોન લઇને લડતો હતો તે આજે એકલો છે. ગોપાલ ઈટાલિયા માટે આખી પાર્ટી મેદાનમાં ઉતરી અને કડીના ઉમેદવારને એકલો મૂકી દીધો છે. કારણ કે એ દલિત સમાજના હતા.