રેલવે ટ્રેક પર સૂતેલા 2 યુવાનોની ખોપડી ટ્રેને હડફેટે લેતાં ફાટી ગઈ
રાજકોટ નજીક ખોખડદળ-ભુવા ફાટક પાસેની ઘટના બંને યુવાનોના કમકમાટીભર્યા મોત : બંને યુવાનો ગોંડલ રોડ પર આવેલી ફેક્ટરીમાં કામ કરતા હતા
રાજકોટ, : શાપર પોલીસની હદમાં ખોખડદળ અને ભુવા ફાટક વચ્ચે રેલવે ટ્રેક પર માથું ટેકવીને સુતેલા બે યુવાનોની ખોપડી ટ્રેનની હડફેટે ચડી જવાથી ફાટી ગઈ હતી. બંનેના કમકમાટીભર્યા મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત મચી ગયો હતો. શાપર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ જારી રાખી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના નવા થોરાળા મેઈન રોડ પર ખીજડાવાળા રોડ પર રહેતો સૌરવ પાલનપ્રસાદ સોલંકી (ઉ.વ.રપ) અને રાજકોટ તાલુકાના લીલી સાજડીયાળી ગામે રહેતો તેનો મિત્ર સુનિલ જેન્તીભાઈ મકવાણા (ઉ.વ. 33) ગોંડલ રોડ પર કોરાટ ચોકમાં આવેલી હેમ પેકેજીંગ નામની ફેકટરીમાં નોકરી કરતા હતા.
ગઈકાલે સાંજે નોકરી પુરી કર્યા બાદ અન્ય એક મિત્ર સાથે બંને ખોખડદળ-ભુવા ફાટક નજીક બેસવા ગયા હતા. ત્યાર પછી તેમનો મિત્ર ત્યાંથી જતો રહ્યો હતો. રાત્રે બંને રેલવેના પાટા પર માથું ટેકવીને આરામ કરતા હતા. પોલીસના અનુમાન પ્રમાણે હવાની લહેરખીને કારણે બંનેને ઉંઘ આવી ગઈ હતી. આ સ્થિતિમાં મોડી રાત્રે કે પરોઢિયે પસાર થયેલી ટ્રેનની હડફેટે ચડી જતાં બંનેની ખોપડી ફાટી ગઈ હતી. બંનેને બેભાન હાલતમાં સિવીલમાં ખસેડાયા હતા જયાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા. જાણ થતાં શાપર પોલીસ સ્થળ પર અને સિવીલે પહોંચી હતી અને તપાસ કરી હતી. મૃતક સૌરવ ત્રણ ભાઈ અને બે બહેનમાં નાનો અને અપરણિત હતો. જયારે મૃતક સુનિલ બે ભાઈ અને ચાર બહેનમાં બીજા નંબરનો હતો. તેને સંતાનમાં એક પુત્રી છે.