Gandhidham News: કચ્છ પંથકમાંથી એક અરેરાટીભર્યા સમાચાર પ્રાપ્ત થયા છે. ગાંધીધામના અંતરજાળ નજીક આવેલા તળાવમાં ડૂબી જતાં બે યુવકોના મોત નીપજ્યા છે. ઘરેથી બાઇક ધોવાનું કહીને નીકળ્યા હતા. પરંતુ મોડી સાંજ સુધી પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી. આ દરમિયાન તળાવ નજીક બાઇક અને ચંપલ મળી આવતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે તરવૈયાની મદદથી બંને મૃતદેહો બહાર કાઢ્યા હતા અને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામનાં અંતરજાળ નજીક તળાવમાં ડૂબી જતા બે યુવાનોના મોત નીપજ્યા હતા. આ બંને યુવકો ઘરેથી બાઇક ધોવાનું કહીને નીકળ્યા હતા. જોકે યુવકો મોડી સાંજ સુધી પરત ન ફરતાં પરિવારજનો આસપાસમાં શોધખોળ આદરી હતી. આ દરમિયાન તળાવ પાસેથી બાઇક અને ચંપલ મળી આવતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થાનિક લોકો અને તૈરવૈયાની મદદથી શોધખોળ આદરી હતી.
જેમાં એક મૃતદેહ ગતરાત્રીના અને બીજો સવારના મળી આવ્યો હતો. બંને યુવકો સાળા-બનેવી હોવાનું જાણવા મળ્યું છે. બાઇક ધોવા ગયા હતા તે દરમિયાન બનેવી ખાડામાં ડૂબી જતાં સાળાએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. બનેવીને બચાવવા જતાં સાળો પણ પાણીમાં ડૂબી ગયો હતો. બે યુવકોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


