અમદાવાદના નારણપુરામાં ગમખ્વાર અકસ્માત, પીકઅપ વાન પાછળ બાઇક ઘૂસી જતાં બે યુવકના મોત
Ahmedabad Accident: અમદાવાદના નારણપુરામાં નવા બનેલા શાસ્ત્રીનગર ઓવરબ્રીજ પર કોન્ટ્રાક્ટર પીકઅપ વાન લઈને ડેકોરેટીવ લાઇટ હટાવી રહ્યો હતો. ત્યારે પુરઝડપે બાઈક પર આવેલા બે યુવકો પીકઅપ વાન સાથે અથડાયા હતા. જેમાં તેમને ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. આ અંગે બી ડીવીઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
મળતી માહિતી અનુસાર, ભાડજમાં રહેતા તારાચંદ ડામોર લાઇટ અને સાઉન્ડ સીસ્ટમનું કામ કરે છે. થોડા દિવસ પહેલા નારણપુરા શાસ્ત્રીનગર પર ઓવરબ્રીજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેના પર ડેકોરેટીવ લાઈટનું કામ તારાચંદને મળ્યું હતું. તે સવારે તેમની પીકઅપ વાન લઈને શ્રમિક સાથે આવીને ડેકોરેટીવ લાઈટ ઉતારવાનું કામ કરતા હતા. ત્યારે પુરઝડપે બાઇક પર યુવકો આવ્યા હતા અને ધડાકાભેર રોડની સાઈડ પર ઊભેલી વાન સાથે અથડાયા હતા. જેમાં બંનેને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
પ્રાથમિક તપાસમાં મૃતકના નામ વિવેક સુથાર (ઓઢવ) અને વિહાર વ્યાસ (તલાલા) હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.