નર્મદા મૈયા બ્રિજ ઉપર બે ટુ-વ્હીલર ભટકાતા માર્ગ ઉપર દારૂની પોટલીઓની રેલમછેલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bharuch News : નર્મદા મૈયા બ્રિજ ઉપર પૂરપાટ ઝડપે પસાર થતા બાઈક સવાર ખેપિયાએ અન્ય બાઈકને અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં માર્ગ ઉપર દેશી દારૂની પોટલીઓની રેલમછેલ સાથે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં ઇજા પામનાર બાઈક સવાર મહિલા સહિત બે વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યારે અજાણ્યો ટુ વ્હીલર ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.
અંકલેશ્વરના નર્મદા મૈયા બ્રિજ ઉપર અંકલેશ્વરથી ભરૂચ તરફ જવાના માર્ગે ગઈકાલે રાત્રે 8:30 વાગ્યાની આસપાસ પૂરઝડપે પસાર થતા ટુ વ્હીલર ચાલકે અન્ય બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ટુ વ્હીલર ઉપર રાખેલ દારૂનો જથ્થો ભરેલા બે પોટલા માર્ગ ઉપર પડતા દેશી દારૂની પોટલીઓની રેલમછેલ થઈ હતી. અકસ્માત સર્જી અજાણ્યો ટુ વ્હીલર ચાલક પોતાનું વાહન લઇ નાસી છૂટ્યો હતો. જ્યારે બાઈક સવાર અંકલેશ્વરના રહેવાસી સાવનભાઈ રમેશભાઈ વસાવા અને નિશાબેન ભરતભાઈ વસાવાને ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચેલ પોલીસે 12 પ્લાસ્ટિકની થેલીઓમાં રૂ.4,800ની કિંમતનો 24 લીટર દેશી દારૂ કબ્જે કરી અકસ્માત સર્જી ફરાર થયેલ અજાણ્યા ટુ વ્હીલર ચાલકની શોધખોળ હાથ ધરી હતી. બનાવ સંદર્ભે અંકલેશ્વર સીટી બી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.









