જામનગરમાં ખાનગી ટ્રાવેલ્સની ઓફિસ પાસેથી ચોરાયેલા 14 નંગ મોબાઈલ-લેપટોપ સાથેના પાર્સલની ચોરીનો ભેદ ઉકેલાયો : બે તસ્કરો પકડાયા
Jamnagar Theft Case : જામનગર શેહેરની એક ખાનગી ટ્રાવેલ્સની ઓફિસની બહાર રાખવામાં આવેલા પાર્સલમાંથી 14 નંગ મોબાઈલ ફોન અને લેપટોપ ભરેલા પાર્સલની ચોરી થવા પામી છે. જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાયા બાદ સીટી બી. ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખી ચોરાઉ મુદ્દામાલ સાથે બે તસ્કરોને ઝડપી લીધા છે.
જામનગરમાં ગુરુદ્વારા માર્ગે સેન્ટર પોઇન્ટમાં આવેલ જય દ્વારકાધીશ ટ્રાવેલ્સના સંચાલક મયુરભાઈ જેઠાભાઇ પોસ્તરીયાએ પોતાના ટ્રાવેલ્સની ઓફિસની બહાર રાખેલ રૂ.1,18,500 ની કિંમતના 14 નંગ મોબાઈલ ફોન અને લેપટોપ ભરેલા પાર્સલની કોઈ શખસો ચોરી કરી લઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ગત તારીખ 1 જૂનના રોજ પોતાની ટ્રાવેલ્સની બસ અમદાવાદથી વહેલી સવારે સાડા ચાર કલાકે જામનગર આવી હતી. આ બસમાં અમદાવાદથી કુલ 12 પાર્સલ આવ્યા હતા. તેમાં જામનગરના મેહુલભાઈ મૂળજીભાઈ દામાનું પણ 14 નંગ મોબાઈલ અને લેપટોપ ભરેલું પાર્સલ હતું. આ તમામ પાર્સલો ટ્રાવેલ્સની ઓફિસથી બહાર રાખવામાં આવ્યા હતા, તેમાંથી મોબાઇલ લેપટોપ ભરેલ પાર્સલ સવારે 4:30 થી 10 વાગ્યા સુધીમાં કોઈ શખસો ચોરી કરી લઈ ગયા હતા.
પોલીસે મયુરભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી સી.સી.ટી.વી. કેમેરા વગેરેની મદદ લઇને તપાસ શરૂ કરી હતી, અને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
જામનગરના સીટી બી. ડિવિઝન પી.આઈ. પી.પી.ઝા અને પીએસઆઇ એમ.મોઢવાડિયા અને તેઓની ટીમે ઉપરોક્ત પાર્સલની ચોરી કરનાર જામનગરમાં નવાગામધેડ વિસ્તારમાં રહેતા સન્ની જગદીશભાઈ સરવૈયા તેમજ ગોપાલ ચોકમાં રહેતા વિક્રમ ઉર્ફે રોટી સુરેશભાઈ પરમારની અટકાયત કરી લીધી છે અને તેઓ પાસેથી રૂપિયા 1,18,500 ની કિંમતના ચોરાઉ મોબાઇલ ફોન અને લેપટોપ વગેરે કબજે કરી લીધા છે.