છરીની અણીએ બે લૂંટારાઓએ પોલીસ જવાનને જ લૂંટી લીધો
અડાલજ નર્મદા કેનાલ પાસે ફરી લૂંટારાઓનો આતંક
બાઈક સાથે અકસ્માત કરી મર્ડર કરી દેવાની ધમકી આપીને મોબાઈલ તેમજ સ્માર્ટ વોચ લૂંટી ફરાર
ગાંધીનગર : ગાંધીનગર નજીક અડાલજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર છેલ્લા ઘણા સમયથી લૂંટના બનાવ અટકી ગયા હતા પરંતુ હવે લૂંટારાઓ ફરીથી સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે અને આ વખતે પોલીસ જવાનને જ લૂંટી લેવાની ઘટના બહાર આવી છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અડાલજ પોલીસ લાઈનમાં રહેતા અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા જગદીશકુમાર રામસિંગભાઈ રાઠોડ ડીસીપી ઝોન-૨ કારંજ અમદાવાદ ખાતે એટેચમેન્ટમાં નોકરી કરે છે. ગત મંગળવારે સાંજે પોતાની ફરજ પરથી પરત ફરી રહ્યા હતા. રાત્રિના આશરે સાડા આઠ વાગ્યાના સુમારે તેઓ અડાલજ મુખ્ય નર્મદા કેનાલ પર આશિયાના ફાર્મ નજીક પહોંચ્યા ત્યારે એક નંબર પ્લેટ વગરના એક્ટિવા પર સવાર બે અજાણ્યા ઇસમો તેમની પાછળ આવ્યા હતા અને તેમણે યે પોલીસ વાલા હૈ આજ ઉસકો ટાર્ગેટ કરતે હૈ તેમ કહી તેમના મોટરસાયકલને પાછળથી ટક્કર મારી નીચે પાડી દીધા હતા. બંને લૂંટારાઓ એક્ટિવા પરથી નીચે ઉતરી જગદીશકુમારને માર મારવા લાગ્યા હતા. જેથી તેઓ ત્યાંથી ભાગીને નજીકમાં આવેલ આશિયાના ફાર્મ તરફ દોડયા પરંતુ લૂંટારાઓએ તેમનો પીછો કરી તેમને ફરીથી પકડી લીધા અને માર માર્યો હતો. આ સમયે એક ઇસમે એક્ટિવામાંથી ચપ્પુ કાઢી કહ્યું કે તેરે પાસમે જો ભી હૈ હમે દે દે વરના ચાકુ ગુસાકે તુમ્હારા યહી પે મર્ડર કર દુંગા. જેથી તેમના ખિસ્સામાંથી એક મોબાઇલ અને હાથમાં પહેરેલી સ્માર્ટ વોચ બળજબરીથી લૂંટી લીધી હતી. બૂમો પાડતા લૂંટારા પોતાનું એક્ટિવા લઈ નર્મદા કેનાલના ખોરજ ગામ તરફના બ્રિજ પરથી નાસી છૂટયા હતા. જેથી હાલ તેમની ફરિયાદના આધારે અડાલજ પોલીસ દ્વારા લૂંટનો ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.