બ્રેનડેડ થયેલા ૫૭ વર્ષના દર્દીના બે અંગોનું દાન કરાયું
સયાજી હોસ્પિટલમાં લાંબા સમય પછી અંગદાન થયું
વડોદરા,લાંબા સમય પછી સયાજી હોસ્પિટલમાં બ્રેનડેડ દર્દીના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. ૫૭ વર્ષના દર્દીના લીવર અને આંખોને ડોનેટ કરવામાં આવતા અન્ય દર્દીઓની જિંદગીમાં નવો ઉજાસ પથરાશે.
છાણી વિસ્તારમાં રહેતા ૫૭ વર્ષના સુરેશભાઇ ચૌહાણનું બી.પી. વધી જતા તેઓની તબિયત બગડી હતી અને બેભાન થઇ જતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓનું ઓપરેશન કરવાનું હતું.પરંતુ, તેઓની તબિયત વધારે બગડતા વેન્ટિલેટરના સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. તેઓને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ડોક્ટરની ટીમ દ્વારા તેઓના પરિવારજનોને અંગદાન માટે સમજાવવામાં આવ્યા હતા. પરિવારજનો તૈયાર થતા અમદાવાદની સોટો કમિટીને જાણ કરવામાં આવી હતી. રેલવે હોસ્પિટલના ડો.દિપાલી તિવારીએ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ત્યારબાદ અમદાવાદથી આવેલી ડોક્ટરની ટીમ દ્વારા સયાજી હોસ્પિટલમાંથી દર્દીના લીવરને ગ્રીન કોરિડોર કરી અમદાવાદ લઇ જવામાં આવ્યું હતું. જ્યારે દર્દીની બે આંખો સયાજી હોસ્પિટલમાં રાખવામાં આવી હતી.