- બોરસદ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટનો હુકમ
- આણંદ, ખેડા, વડોદરા શહેર અને ગ્રામ્ય, અમદાવાદ શહેર અને ગ્રામ્યમાંથી હદપાર કરાયા
આણંદ : આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા નાપા ગામના બે રીઢા ગુનેગારો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરવામાં આવી છે. આ બંને શખ્સોને આણંદ ઉપરાંત આસપાસના અન્ય જિલ્લાઓમાંથી ૩ મહિના માટે હદપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, હદપાર કરવામાં આવેલા બંને શખ્સો છેલ્લા ત્રણ વર્ષથી સમાજમાં અસામાજિક પ્રવૃત્તિઓ જેવી કે, મારીમારી કરવી, લોકોને ધાક-ધમકી આપવી, જુગાર રમવો. આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા હોવાથી અને ભૂતકાળમાં તેમની સામે ગુનાઓ દાખલ થયેલા હોવાથી ગુજરાત પોલીસ એક્ટની કલમો મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, બોરસદની કોર્ટ દ્વારા બંને શખ્સોને આણંદ, ખેડા, વડોદરા શહેર અને ગ્રામ્ય, અમદાવાદ શહેર અને ગ્રામ્યમાંથી હદપારનો હુકમ કરવામાં આવ્યો છે.
હદપાર થયેલા શખ્સો
મહંમદહુશેન ઉર્ફે ભાણાભાઈ જાફરઅલી સૈયદ (રહે. નાપા તળપદ, ખારકુવા ટેકરા, બોરસદ)
સિકંદર ઉર્ફે ઘોડો ફકરુદ્દીન કાઝી (રહે. નાપા તળપદ, એકતાનગર, બોરસદ)


