Jamnagar Fraud : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં રહેતા એક પ્રૌઢ મહિલાને બે ધતિંગ બાવાઓનો ભેટો થયો હતો, અને રામામંડળમાં આવવાનું આમંત્રણ આપવાના બહાને વિશ્વાસમાં લઈ પગનો દુખાવો દૂર કરવા માટે પ્રવાહી પીવડાવી મહિલાની નજર ચૂકવી ઘરમાંથી રૂપિયા એક લાખની રોકડ લઈને રકૂચક્કર થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી કે કાલાવડના મકાજી મેઘપર ગામમાં શિવનગર સોસાયટીમાં રહેતા લીલાબેન ખોડાભાઈ પટેલ (59) કે જેઓ ગઈકાલે પોતાના ઘેર એકલા હતા, જે દરમિયાન કાલાવડના રણુજા મંદિરે રામામંડળમાં આવવા માટેનું આમંત્રણ આપવા માટે આવેલા બે અજાણ્યા ધતિંગ બાવાઓએ તેમની સાથે વાતચીત કરીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ પગનો દુખાવો તથા ઘરની નડતરો દૂર કરવાના બહાને મંત્ર ઉચ્ચાર કરી લીલાબેનના ઘરમાંથી તેઓની નજર ચૂકવીને રૂપિયા એક લાખની રોકડ રકમ ઉઠાવી લઈ રફુ ચક્કર થઈ ગયા હતા.
આથી મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બંને ધતિંગ બાવાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. કાલાવડ ગ્રામ્ય પોલીસે લીલાબેન નામના મહિલાની ફરિયાદના આધારે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે.


