Gujarat

પાલિતાણાના બે શખ્સને બે વર્ષ સાદી કેદની સજા

By GS TEAM
14 Jan 20261 min read
પાલિતાણાના બે શખ્સને બે વર્ષ સાદી કેદની સજા

- દુકાનમાંથી બીડી નહીં કાઢી આપતા માર મારી ધમકી આપી હતી

- પોણા 6 વર્ષ પૂર્વેની ઘટનામાં પાલિતાણા કોર્ટે ચુકાદો આપ્યો

ભાવનગર : પાલિતાણામાં પોણા છ વર્ષ પૂર્વે મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની નોંધાયેલી પોલીસ ફરિયાદમાં બે આરોપીને બે વર્ષ સાદી કેદની સજાનો હુકમ થયો છે.

પાલિતાણાના હવામહેલ રોડ પર ઘંટી ચલાવતા ભાવેશભાઈ મનજીભાઈ રાઠોડના ભાઈએ ગત તા.૧૧-૪-૨૦૨૦ના રોજ સાંજના સમયે કનુ ભૂપતભાઈ મકવાણા નામના શખ્સને દુકામાંથી બીડી નહીં કાઢી આપતા તે બાબતની દાઝ રાખી કનુ મકવાણા અને ભાર્ગવ બળવંતસિંહ ઉર્ફે બળુભાઈ ઝાલા નામના શખ્સોએ સગીર અને તેના પિતાને ધોકા-પથ્થરના ઘા કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બનાવ અંગે પાલિતાણા ટાઉન  પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ પાલિતાણાના એડી. ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં રજૂ થયેલા આધાર-પુરાવા, દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ આર.એમ.ધોડીએ બન્ને શખ્સને તકસીરવાન ઠેરવી બે વર્ષ સાદી કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો હતો.