તળાજાના રાજપરા-૨ નજીક અકસ્માતમાં બેના મોત

- અલંગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
- વાડીએ કામ કરવા માટે જઈ રહ્યાં હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જ્યો હતો
તળાજા તાલુકાના રાજપરા (તણસા) ગામના જીવરાજભાઈ ભવાનભાઈ ધામેલિયા (ઉ.વ.આ.૬૦) આજે સવારે તેમની વાડીના ભાગીયા ઉંચડી (ગોપનાથ) ગામના રહેવાસી શામજીભાઈ છગનભાઈ જાદવ (ઉ.વ.૫૦)ને તેમની જીજે-૦૪-બીએસ-૦૫૭૪ નંબરની બાઇક પાછળ બેસાડી ગામની નજીક જ આવેલ વાડીએ સવારે આશરે ૬.૧૫ બાદના સમયે લઈને જઈ રહ્યાં હતા. આ દરમિયાન રાજપરા-૨ ગામના બાયપાસ રોડના છેડે અજાણ્યા વાહન ચાલકે તેમની બાઈકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જેમાં બંન્નેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી જઈ તેમના મૃતદેહોને પીએમ માટે ખસેડયા હતા. બનાવ અંગે મૃતક જીવરાજભાઈના ભત્રીજા પ્રકાશભાઈ કુરજીભાઈ ધામેલીયાએ અલંગ પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે નાસી ગયેલા વાહનચાલકને શોધવા તપાસ હાથ ધરી છે.








