Gujarat

પાક નિષ્ફળ જતાં અરડોઈ અને રેવાણીયામાં બે ખેડૂતની આત્મહત્યા

By GS TEAM
10 Nov 20251 min read
પાક નિષ્ફળ જતાં અરડોઈ અને રેવાણીયામાં બે ખેડૂતની આત્મહત્યા

કમોસમી વરસાદે સૌરાષ્ટ્રના અનેક ખેડૂતોનું જીવતર ઝેર કર્યું!

આગલા વર્ષનું દેવું હોવા ઉપરાંત આ વર્ષે પણ માવઠાના કારણે નુકસાન થતાં હતપ્રભ થઈને જીવ દઈ દીધો 

જસદણ, કોટડાસાંગાણી: તાજેતરમાં આવેલા કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં ખેતી પાક નિષ્ફળ જતાં અનેક ખેડૂતો તનાવમાં આવી ગયા છે. આવી સ્થિતિમાં જીવન ટૂંકાવી લેવાના વધુ બે બનાવ રાજકોટ જિલ્લામાં બન્યા છે. વિંછીયા તાલુકાના રેવાણીયા અને કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામે બે ખેડૂતે આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં આક્રંદ છવાયું છે.

બનાવની વધુ વિગત મુજબ, વિંછીયા તાલુકાના રેવાણીયા ગામે રહેતા ખેતમજુર ખેડૂત દાનાભાઈ  રામજીભાઈ જાદવનો કૃષિ પાક નિષ્ફળ જતાં તેઓ હતપ્રભ બની ગયા હતા. આ ખેડૂતને કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન જતાં તે ચિંતામાં ડૂબી ગયા હતા. પરિવારજનોના કહેવા મુજબ, સતત બે વર્ષથી પાક નિષ્ફળ જતાં આર્થિક રીતે ખૂબ જ પીડિત હતા. આથી, તેણે ઘરે જ ગળાફાંસો ખાઈ જીવ દીધો હતો. 

બીજા બનાવમાં કોટડાસાંગાણીના અરડોઈ ગામે દિલીપભાઈ નાગજીભાઈ વીરડિયાએ પાક નિષ્ફળ જવાની ચિંતામાં  અને મોટું દેવું થઈ જતાં વાડીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. દિલીપભાઈએ ભાગવી રાખેલી ૨૮ વીઘા જમીન અને પોતાની દસ વીઘા  જમીનમાં વાવેતર કર્યું હતું પણ કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન આવી જતાં ચિંતામાં આત્મઘાતી પગલું ભરી લીધું હતું.