૧૯૬૫માં બળવંતરાય મહેતા અને ૨૦૨૫માં વિજય રુપાણી, 60 વર્ષમાં ગુજરાતના બે મુખ્યમંત્રી વિમાન ક્રેશનો ભોગ બન્યા
ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું ઘટના સ્થળે જ મુત્યુ થયું હતું
નાગરિક વિમાન હોવા છતાં પાકિસ્તાને મહેતાનું વિમાન તોડી પાડયું હતું
અમદાવાદ,13 જૂન,2025, શુક્રવાર
અમદાવાદથી લંડન જઇ રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન ૧૭૧ મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડતા ૨૪૧ લોકોના મુત્યુ થયા છે જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીનો પણ સમાવેશ થાય છે, રુપાણી લંડનમાં રહેતી પુત્રીને મળવા ૧૨ જુન બપોરે અમદાવાદ એરપોર્ટથી ફલાઇટમાં બેઠા હતા. બોઇંગ વિમાન ટેક ઓફ થયા પછી માત્ર ૧ મિનિટમાં જ સિવિલ હોસ્પિટલ નજીકની હોસ્ટલની બિલ્ડિંગ પર તૂટી પડતા સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો. વિમાન ક્રેશમાં જીવ ગુમાવનારા વિજય રુપાણી ૨૦૧૬ થી ૨૦૨૧ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહયા હતા. ૧૯૬૦માં ગુજરાત રાજયની સ્થાપના પછી મુખ્યમંત્રીનું પ્લેન ક્રેશમાં મુત્યુ થયું થવાની બીજી ઘટના બની છે.
૧૯ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી બળવંતરાય મહેતા પણ પ્લેન ક્રેશનો ભોગ બન્યા હતા. જેમાં બળવંતરાય મહેતા સહિત વિમાનમાં બેઠેલા ૭ લોકોના મુત્યુ થયા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નિકળ્યું ત્યારે શાંતિ સુલેહ કરવાના પ્રયાસો શરૃ થયેલા તે દરમિયાન મીઠાપુર ટાટા કેમીકલથી કચ્છ બોર્ડર તરફ ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું વિમાન ઉડયું હતું. તેના પાયલોટ જહાંગીર એન્જીનિયર હતા. આ કોઇ યુધ્ધ વિમાન ન હતું તે જાણવા છતાં રડારના ધ્યાનમાં આવેલા વિમાનને પાકિસ્તાને તોડી પાડયું હતું.
આ પ્લેન ક્રેશમાં બળવંતરાય મહેતા તેમના પત્ની સરોજબેન, પાયલોટ જહાંગીર એન્જીનિયર સહિતના તમામ માર્યા ગયા હતા. બળવંતરાય મહેતાના નાગરિક વિમાનને આ રીતે તોડી પાડવાની પાકિસ્તાનની ગુસ્તાખીને કારણ માત્ર ગુજરાત જ નહી સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાઇ ગયેલો. જો કે આ અંગે પાકિસ્તાને હરફ સુધ્ધા ઉચ્ચાર્યો ન હતો. ૬૫ વર્ષના બળવંતરાય મહેતાએ આઝાદીમાં સ્વાતંત્ર સેનાની તરીકે બારડોલી સત્યાગ્રહ અને કવીટ ઇન્ડિયા મોવમન્ટમાં ભાગ લીધો હતો. દેશમાં પંચાયતીરાજની સુધારણા માટે બળવંતરાય મહેતા સમિતિઓની ભલામણો ખૂબ જાણીતી બની હતી.
બળવંતરાય મહેતાનું વિમાન તોડી પાડનારા પાકિસ્તાની પાયલોટે પ્રથમવાર ૨૦૧૧માં ખુલાસો કર્યો હતો.
૨૦૧૧માં વિમાનના પાયલોટ કાઇસ હુસેને ખરેખર શું બન્યું હતું તેનો પહેલી વાર જાહેરમાં ખુલાસો કર્યો હતો.વિમાન તોડી પાડનાર પાયલોટે જણાવેલું કે સીવેલિયન પ્લેન હોવાનું પોતે જાણતા હતા તેમ છતાં ઉપરથી તોડી પાડવાનો આદેશ હોવાથી આ પગલું ભર્યુ હતું. બાકી નાગરિકોને મારી નાખવાનો કોઇ જ ઇરાદો ન હતો. એટલું જ નહી હુસેને ત્રણ વર્ષ પહેલા બળવંતરાય મહેતાના વિમાનના પાયલોટની પુત્રી ફરીદાસિંઘની માફી માગતા લખેલા કાગળમાં પણ જણાવેલું કે મેં શકય એટલું ચેક કરવા પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં મારા હાથે સાત પરીવારોએ પોતાના વ્હાલા સ્વજનો ગુમાવ્યા તેનો ભારોભાર અફસોસ છે.