સેક્ટર-૧ અને સરગાસણમાંથી કોરોનાના બે કેસ સામે આવ્યા
ગાંધીનગરમાં કેસનો આંકડો ૧૫ સુધી પહોંચ્યો
બંને પોઝિટિવ દર્દીઓને હોમ આઇસોલેશનમાં, શરદી-ખાંસી, તાવ હોય તો ટેસ્ટ કરાવવા તબીબોનું સુચન
ગાંધીનગર : ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે.ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ગઈકાલ સુધી જિલ્લામાં ૧૩ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા, જ્યારે આજે વધુ બે નવા કેસ ઉમેરાતા પોઝિટિવ દર્દીઓનો આ આંકડો વધીને ૧૫ થયો છે.સરગાસણ અને સે-૧માંથી એક-એક પોઝિટિવ દર્દી પ્રકાશમાં આવ્યા છે.
કોર્પોરશનના આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી
પ્રમાણે, આ નવા બે પોઝિટિવ કેસોમાં એક સરગાસણ વિસ્તારમાં રહેતા ૬૨
વર્ષીય વૃદ્ધનો સમાવેશ થાય છે. તેઓ છેલ્લા ઘણા દિવસોથી તાવ અને શારીરિક અશક્તિથી
પીડાઈ રહ્યા હતા. તબિયત બગડતાં તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવામાં
આવ્યો હતો જેમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેઓને હોમ
આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.બીજા કેસમાં સેક્ટર-૧ ખાતે રહેતા ૬૨ વર્ષીય
વૃદ્ધાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને પણ હાલ હોમ આઇસોલેશનમાં
રાખવામાં આવ્યા છે અને કોર્પોરેશનની ડોક્ટર ટીમ તેમના આરોગ્ય પર નિરંતર નજર રાખી
રહી છે. શહેર અને જિલ્લા આરોગ્ય વિભાગે લોકોને કોરોનાની વ્યાપની સામે સતર્ક રહેવા
અને જરૃરી સાવચેતીઓ જેમ કે માસ્ક પહેરવો,
હાથ ધોતા રહેવા તથા સામાજિક અંતર જાળવવા અનુરોધ કર્યો છે. સાથેે તાવ, ઉધરસ, શરદી, ગળામાં દુઃખાવો, થાક જેવી તકલીફ
જણાય તો તાત્કાલિક પરીક્ષણ કરાવવું જોઈએ તેવી સલાહ પણ આપવામાં આવી છે. શહેરી
વિસ્તાર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને સતત
સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે.