- તંત્રને રજૂઆત છતાં રખડતા ઢોરને પાંજરે નહીં પુરતા રોષ
- ભુરાંટા થયેલા બંને આખલાઓએ 20 મીનીટ સુધી આખો રોડ બાનમાં લીધો હતો
લખતર : શહેરીજનો અનિયમીત પાણી વિતરણ, બિસ્માર અને ભંગાર રસ્તા, વિજળીનાં ડીંડવાણા સહિતની અનેક સમસ્યા વેઠી રહ્યાં છે ત્યાં મુખ્ય રસ્તા ઉપર તંત્રએ જાણે ઢોરવાડા શરૃ કર્યા હોય તેમ સંખ્યાબંધ ઢોર અડીંગો જમાવતા હોય તેવા દ્રશ્યો પ્રતિદિન જોવા મળે છે. તેના ઉપરથી એવુ લાગી રહ્યું છે કે આ લખતર શહેર છે કે ગાયનગર. લખતર શહેરના પ્રવેશદ્વાર એવા શિયાણી દરવાજા પાસે બે આખલા યુધ્ધે ચડતા દોડધામ મચી જવા પામી હતી.
લખતર શહેરના પ્રવેશદ્વાર એવા શિયાણી દરવાજા પાસે બે આખલા યુદ્ધે ચડતા આસપાસથી પસાર થતા વાહન ચાલકો સહિત રાહદારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી તેમજ આસપાસના દુકાનદારોમાં પણ ભય ફેલાયો હતો. અકસ્માત ટાળવા માટે વાહનચાલકોએ પોતાના વાહનો રોકવા પડયા હતાં. અંદાજે ૨૦થી ૩૦ મિનિટ સુધી આખલા બાખડતા રહ્યા હતા ત્યાર બાદ છૂટા પડયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ આખલાઓ જો કોઈ વ્યક્તિ કે વાહન સાથે અથડાયા હોત તો ગંભીર અકસ્માત થઈ શક્યો હોત! જોકે, કોઈ જાનહાનિ થઈ હતી.
શિયાણી દરવાજા ઉપરાંત લખતરના નીલકંઠ મહાદેવ મંદિર, રામ મહેલ, ધનેશ્વર મહાદેવ, મહિલાઓના બંને સ્વામિનારાયણ મંદિર, દેરાસર જવાના રસ્તા પર સહિતના વિસ્તારોમાં રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠા હોય છે જેના કારણે અહીંથી પસાર થતા રાહદારીઓ સહિત દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને હાલાકી પડી રહી છે તેમજ અડફેટે લેવાનો પણ ભય રહે છે. આ અંગે સ્થાનિક આગેવાનો સહિત જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત તંત્રને રજુઆત કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા ઢોરને હટાવવાનો તંત્રને આદેશ કર્યો છે ત્યારે હવે સ્થાનિક તંત્ર ક્યારે જાગે છે તે તો જોવું જ રહ્યું?


