Get The App

રાજકોટ નજીકના મહીકામાં રહેતા બે સગાભાઈઓ રહસ્યમય રીતે લાપતા

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
રાજકોટ નજીકના મહીકામાં રહેતા બે સગાભાઈઓ રહસ્યમય રીતે લાપતા 1 - image

રાત્રે  ઘરેથી રમવા માટે બહાર નીકળ્યા બાદ ગુમ થઇ ગયા

ચાર દિવસ પછી પણ બંને ભાઈઓનો કોઇ પત્તો નહીં મળતાં પરિવારજનોમાં ચિંતા, આજી ડેમ પોલીસે તપાસ શરૂ કરી

રાજકોટ: રાજકોટ નજીકના મહીકાના પાટિયે રાધીકા રેસીડેન્સી શેરી નં. ૨માં રહેતા ૧૧ અને ૧૩ વર્ષના બે સગાભાઈઓ ઘરેથી નીકળી ગયા બાદ રહસ્યમય રીતે લાપતા બની ગયા છે. નિયમ મુજબ આજી ડેમ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જો કે ચાર દિવસ પછી પણ બંને ભાઈઓની કોઇ ભાળ મળી નથી.

બંને બાળકોની માતા ભાવનાબેન ડાંગર (ઉ.વ.૩૩) કેટરર્સનું કામ કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે તેને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્રો છે. જેમાંથી મોટો દીકરો મીત (ઉ.વ.૧૩) ૮મું ધોરણ જ્યારે તેનાથી નાનો પુત્ર કેવલ (ઉ.વ.૧૧) છઠ્ઠુ ધોરણ ભણે છે. પોતે કેટરર્સનું કામ કરે છે. પતિ રાજેશભાઈ છેલ્લા પાંચેક વર્ષથી અલગ રહે છે. 

ગઇ તા. ૬ના રોજ રાત્રે ૧૧.૩૦ વાગ્યે બંને પુત્રો રમવા માટે ઘરેથી બહાર નીકળ્યા હતા. તેને માથુ દુઃખતું હોવાથી સૂઇ ગયા હતા. તે દરમિયાન તેના બંને પુત્રો શેરીમાં રમતા હતા. બીજા દિવસે સવારે દસેક વાગ્યે જાગીને જોયું તો બંને પુત્રો જોવા મળ્યા ન હતા. આસપાસ તપાસ કરી હતી. આ ઉપરાંત ગામમાં અને આજુબાજુના ગામમાં પણ તપાસ કરી હતી. પરંતુ બંને પુત્રોની કોઇ ભાળ મળી ન હતી. 

બંને પુત્રો આજથી દસેક માસ પહેલા તેના પતિ રાજેશ સાથે રહેતા હતા. જેથી ત્યાં જતા રહ્યાનું જણાતા તપાસ કરી હતી પરંતુ પતિ પાસે પણ બંને પુત્રો નહીં ગયાનું જાણવા મળ્યું હતું. જેને કારણે ગઇકાલે આજી ડેમ પોલીસને જાણ કરતાં તેના સ્ટાફે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.