હજારો નર્મદા પરિક્રમાવાસીઓ આનંદોઃ ઉત્તરવાહિની પરિક્રમા માટે 300 કરોડના ખર્ચે બે બ્રિજ બનશે

વડોદરાઃરાજપીપળા થી તિલકવાડાના રૃટ પર દર ચૈત્ર માસ દરમ્યાન યોજાતી નર્મદા પંચકોષી પરિક્રમામાં જુદાજુદા રાજ્યોના હજારો ભાવિકો સામેલ થતા હોવાથી સરકારે નદીની બંને બાજુ બ્રિજ બનાવવા માટે ૩૦૨ કરોડ રૃપિયાની ફાળવણી કરી છે.
રાજપીપળાના રામપુરા થી શહેરાવ,ત્યાંથી નદી ક્રોસ કરી તિલકવાડાથી રેંગણ અને ત્યાંથી નદી ક્રોસ કરી રામપુરા સુધી યોજાતી આશરે ૧૭ કિમી પરિક્રમાનું મહાત્મય દિવસે દિવસે વધી રહ્યું છે.જેને કારણે હોડીઓ પણ ઓછી પડતી હોય છે અને ધસારો જોતાં એક તરફ હંગામી બ્રિજ બનાવવામાં આવતો હોય છે.
મુખ્યમંત્રીએ પરિક્રમાના બે બ્રિજ માટે મંજૂરી આપતાં રેંગણથી રામપુરાના બ્રિજ માટે ૧૨૩.૧૩ કરોડ અને શહેરાવથી તિલકવાડા વચ્ચે બ્રિજ માટે ૧૭૯.૨૭ કરોડના ખર્ચે બ્રિજ બનશે.જેનો લાભ પરિક્રમાવાસીઓ ઉપરાંત નર્મદા જિલ્લાના ૧૧ જેટલા ગામોના ૧૮ હજારથી વધુ ગ્રામજનો,ખેડૂતો અને વિદ્યાર્થીઓને પણ મળશે.નોંધનીય છે કે,ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું મહત્વ વધારવા ૮૦ વર્ષીય નર્મદા પુત્ર સાંવરિયા મહારાજ ૫૦ વર્ષથી કાર્યરત છે અને હાલમાં તેમને ગંભીર અકસ્માત થયો હોવાથી સારવાર હેઠળ છે.









