Gujarat

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્યાં

By GS TEAM
23 Jun 20261 min read
નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્યાં

વડોદરાઃ નંદેસરી વિસ્તારમાં યુવકના ઘરમાં ઘૂસી મારક હથિયારો વડે ઘાતકી હુમલો કરવાના ચકચારી બનાવમાં પોલીસે બે હુમલાખોરને ઝડપી પાડયા છે.જ્યારે,સૂત્રધાર સહિતના હુમલાખોરો ફરાર છે.

નંદેસરીના શિવાજી નગરમાં રહેતા રાજવીરસિંહ નામના યુવકની પત્ની પિયરમાં ચાલી જતાં કોર્ટમાં કેસ ચાલે છે.જે કેસની ગઇ તા.૧૭મી જૂને મુદત હોવાથી રાજવીર હાજરી આપવા ગયો હતો.આ વખતે ત્યાં  પૂર્વ ધારાસભ્ય મંગળસિંહ ગોહિલનો પુત્ર અને વડોદરા તાલુકા પંચાયતનો પૂર્વ ઉપ પ્રમુખ રાજેન્દ્ર ઉર્ફે લાલો પણ હાજર હોવાથી બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.

આ બનાવની અદાવત રાખી સાંજે રાજવીર તેના ઘરમાં આરામ કરતો હતો ત્યારે રાજેન્દ્ર અને અન્ય ચાર સાગરીતો મારક હથિયારો સાથે ઘરમાં ઘૂસી તેના પર તૂટી પડયા હતા.જેથી નંદેસરી પોલીસે  ઠાકોર ઉર્ફે યુસુફ રતનસિંહ પરમાર(રૃપાપુરા ગામ, પ્રાથમિક સ્કૂલ પાસે) અને સૂરજ ઉર્ફે બાબુ સુનિલભાઇ પટેલ(વૃન્દા વન સોસાયટી, વાસદ)ને ઝડપી પાડયા છે.

પોલીસે બંને હુમલાખોરને ત્રણ દિવસના રિમાન્ડ પર લઇ બનાવના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવતાં લોકોના ટોળાં જામ્યાં હતા.પીઆઇ બીડી જાડેજા અને ત્રણ ટીમ સૂત્રધાર રાજેન્દ્ર ગોહિલ સહિતના હુમલાખોરોને પકડવા દોડધામ કરી રહી છે.