તુવેરદાળમાં તોતીંગ ભાવ વધારો, 5 માસમાં 100 કિલોએ 2600 વધ્યા
ગત જાન્યુઆરીમાં 100 કિલોના ભાવ રૂ. 10900 હતો તે વધીને 13500 તુવેરદાળના સ્ટોકિસ્ટો, પલ્સ મીલોને દર શુક્રવારે હયાત માલ સ્ટોકની સ્થિતિ અપલોડ કરવાનો આદેશ; સ્થાનિક ઉત્પાદન ઓછુ થતા તુવેરદાળની આયાત
રાજકોટ, : દેશમાં તૂવેર દાળના ઉત્પાદનમાં ઘટાડો રહેતા વિદેશથી 8.50 લાખ ટન તૂવેર દાળની આયાત થઈ ચૂકી છે. આની વચ્ચે માલ ઘટ અને ભાવો વધતા રહેતા હોવાથી સરકારે મિલરો, સ્ટોકિસ્ટોને દર શુક્રવારે તુવેરદાળ જથ્થો પુરવઠાની સાઈટ પર અપલોડ કરવા આદેશ કર્યો છે. આજે રાજકોટ કલેક્ટર કચેરીએ તુવેરના વેપારીઓ, સ્ટોકિસ્ટો, દાળ મીલ સંચાલકોની બેઠક મળી હતી. જેમાં વિવિધ સૂચનો આપવામાં આવ્યા હતા.
દેશમાં આયાતી જથ્થો મર્યાદિત છે અને ગત વર્ષોથી સાપેક્ષમાં માલ ઘટ હોવાથી ભારતમાં નિકાસને ઉજળા પાસાઓ જતા વિદેશોએ ભાવ વધારવાનું વલણ દાખવ્યું છે. હાલ જેવી રીતે જીરૂની બજારમાં લાલચોળ તેજી ચાલી રહી છે તેમાં તુવેર પણ સામેલ થઈ છે. આ તેજીમાં ગુજરાતની બ્રાન્ડેડ તુવેરદાળ વિક્રેતાઓ, પલ્સ મીલો પણ જોડાઈ છે. ગત 27 જાન્યુઆરીએ બ્રાન્ડેડ સુપર તુવેરદાળના બ્રાન્ડ વાળાના 100 કિલોના ભાવ રૂ.10,900થી 12,600 હતા. તે પાંચ માસમાં એટલે કે હાલ મે માસમાં 31મીએ ભાવ છેક રૂ. 13,500 - 15000 જથ્થાબંધ બોલાયો છે. આમ 100 કિલોએ જથ્થાબંધ ભાવમાં પાંચ માસમાં રૂ. 2600નો વધારો થયો છે. જેના પર રીટેઈલરો ખર્ચ - નફો ઉમેરીને વેચે છે.
હાલ દેશની જુદી જુદી મંડીઓમાં મહારાષ્ટ્રની તુવેરનો ભાવ રૂ. 10,000 કર્ણાટકની તુવેરદાળનો ભાવ રૂ. 10,200 ચેન્નઈની તુવેરદાળનો (લેમન)નો ભાવ રૂ. 9450 બોલાયો છે. સ્ટોકિસ્ટના કથન મુજબ તુવેર પર તેલ ચડાવવાનું હોવાથી તેમના દ્વારા સ્ટોક સંભવ નથી કારણ કે તેલ ખોરૂ થઈ જાય તો ક્વોલિટી પર અસર પડે છે. હાલ મોટાભાગે માલ પક્કડ ખેડુતોની હોવા સંભવ છે. રાજકોટ કલેક્ટર કચેરીના પુરવઠા વિભાગે આજે બેઠક બોલાવી હતી. તેમાં દર શુક્રવારે સ્ટોકિસ્ટો, મીલો, જથ્થાંધ વેપારીઓને હયાત તુવેરદાળ માલ સ્ટોકની સ્થિતિની વિગતો સાઈટ પર અપલોડ કરવા અનુરોધ કર્યો છે.