- વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ નહીં
- સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત, સત્વરે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માગણી
ઠાસરા : ઠાસરા નગરપાલિકાના જામજી ફળિયાના નાકે ગટરનું પાણી છેલ્લા એક અઠવાડિયાથી ઉભરાઈ રસ્તા ઉપર વહી રહ્યું છે. જેના કારણે વિસ્તારના લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. પાલિકાના વહીવટકર્તાઓ, ચીફ ઓફિસર, ચૂંટાયેલા હોદ્દેદારો પણ અહીંથી અવરજવર કરતા હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે.
ઠાસરા તાલુકાના ૨૦થી ૨૫ ગામોના લોકો, વિદ્યાર્થી ઠાસરામાં અભ્યાસ, કામ અર્થે આવતા હોય છે. ત્યારે તેઓ આ દુર્ગંધયુક્ત માર્ગ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ મામલે પાલિકાના જવાબદાર સામે અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે. ઘણા વખતથી નગરપાલિકા વોર્ડ નંબર બે-માં આવેલા જામજી ફળિયામાં ઉભરાતી ગટરને બંધ કરવા કે તેનું યોગ્ય નિરાકરણ લાવવા તંત્ર દ્વારા રસ દાખવવામાં આવતો નથી. આ વિસ્તારમાં એક અઠવાડિયાથી જાહેર રસ્તા ઉપર વહી રહેલું દુર્ગંધ મારતું પાણી વહી રહ્યું છે, જેથી સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેસત ફેલાઈ છે. આ ઉભરાતી ગટરની સમસ્યાનું નિવારણ લાવવા માટે સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.
ઉભરાતી ગટર બંધ કરવા માટે બે દિવસથી કામગીરી ચાલી રહી છે : પાલિકા ચીફ ઓફિસર
ઠાસરા નગરપાલિકાના ચીફ ઓફિસર જતીન મેહતાએ આ મામલે જણાવ્યું હતું કે, જામજી ફળિયાના નાકે ઉભરાઈ રહેલી ગટરને બંધ કરવા માટે છેલ્લા બે દિવસથી કામગીરી ચાલી રહી છે. આવતી કાલ સુધી કામગીરી પૂર્ણ થઇ જશે. તેમ છતાં ઉભરાતી ગટર બંધ નહિ થાઈ તો એક બીજી લાઈન નાખી દઇશું. જેથી કાયમી સમસ્યા હલ થઇ શકે.


