મુળી બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થી પાસ, ટિકિટ રિજર્ઝવેશનની સુવિધા નહીં મળતા હાલાકી
વિદ્યાર્થીઓ પાસ માટે સુરેન્દ્રગર ધક્કો ખાવા મજબૂર
મુળી ડેપોમાં ૩૦ દિવસમાં સુવિધા પુરી પાડવા એનએસયુઆઈ, વિદ્યાર્થીઓની સુરેન્દ્રનગર ડેપો મેનેજરને રજૂઆતઃ ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી
સુરેન્દ્રનગર - મુળી બસ સ્ટેન્ડમાં છેલ્લા ઘણા સમયથી મુસાફરો સહિત વિદ્યાર્થીઓને સુવિધાઓ ન મળતા એનએસયુઆઈ સહિત વિદ્યાર્થીઓએ સુરેન્દ્રનગર ખાતે મુખ્ય ડેપો મેનેજરને લેખિત રજુઆત કરી છે. તેમજ ૩૦ દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચારી છે.
મુળી બસ સ્ટેન્ડમાં મુળી સહિત આસપાસના ગામોના અનેક વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો દરરોજ અલગ-અલગ બસમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ સહિતના શહેરમાં અભ્યાસ તેમજ નોકરી માટે મુસાફરી કરે છે. પરંતુ આ બસ સ્ટેન્ડમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થી પાસ, ટિકિટ રીઝર્વેશન તેમજ સીસીટીવી કેમેરા સહિતની પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે મુસાફરોની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા થાય છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને સ્થાનીક કક્ષાએથી બસ પાસ નહીં નીકળતા સુરેન્દ્રગર કે અન્ય શહેરો સુધી બસનો પાસ કઢાવવા ધક્કો ખાવો પડે છે. તેમજ લાંબા અંતરના મુસાફરોને પણ ટિકિટ રીઝર્વેશનની સુવિધા નહીં હોવાથી મુશ્કેલી પડી રહી છે. આ તમામ સુવિધાઓ અંગે અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા એનએસયુઆઈના હોદ્દેદારો સહિત વિદ્યાર્થીઓએ સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ ખાતે ડેપો મેનેજરને લેખિત રજુઆત કરી હતી અને આગામી ૩૦ દિવસમાં તમામ સુવિધાઓ પુરી પાડવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.