Gujarat

વલ્લભીપુર બ્રાન્ચની ડી-ટુ કેનાલની સફાઇ કરવામાં નહીં આવતા હાલાકી

By GS TEAM
2 Dec 20251 min read
વલ્લભીપુર બ્રાન્ચની ડી-ટુ કેનાલની સફાઇ કરવામાં નહીં આવતા હાલાકી

કેનાલમાં ઝાડી- ઝાંખરા ઉગી નિકળતા મુશ્કેલી

અનેકવ વખત રજૂઆતો બાદ પણ નર્મદા વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવતા ખેડૂતોમાં આક્રોશ 

સુરેન્દ્રનગર  લખતર તાલુકામાંથી પસાર થતી વલ્લભીપુર શાખાની ડી-ટુ કેનાલમાં સફાઈના અભાવે ખેડૂતોને મુશ્કેલી ઉભી થઇ છે. અનેક વખત રજૂઆતો બાદ પણ નર્મદા વિભાગ દ્વારા કાર્યવાહી નહીં કરતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે.

  લખતર તાલુકામાંથી નર્મદાની વિવિધ કેનાલો પસાર થાય છે.જેની સમયસર સાફ સફાઇ નહીં કરવાના કારણે કેનાલ ઓવરફ્લો થવાના અનેકવાર બનાવો બની ચુક્યા છે. તેમજ કેનાલનું ઓવરફ્લો પાણી ખેડૂતોના ખેતરોમાં ઉભા પાક પણ પર ફરી વળે છે અને ખેડુતોને નુકસાની ભોગવવાનો વારો આવે છે. લખતરના ઢાંકીથી વલ્લભીપુર તરફ જતી નર્મદાની વલ્લભીપુર શાખા નહેરમાંથી વિવિધ માયનોર કેનાલો નીકળે છે.

જેમાં લખતરના કડુ ગામની સીમમાંથી ઓળકની સીમ તરફ જતી ડી-ટુ કેનાલમાં મોટા પ્રમાણમાં ઝાડી ઝાંખરા ઉગી નિકળ્યા હોવાથી કેનાલ ઓવરફ્લો થવાનો ભય ખેડૂતોને સતત સતાવી રહ્યો છે સાથે કેનાલનું યોગ્ય રિપેરિંગ નહીં કરવાના કારણે અનેક જગ્યાએ કેનાલમાં ગાબડાં પણ પડી ગયા છે. આ કેનાલની યોગ્ય સાફ સફાઇ કરી રિપેરિંગ કરવામાં આવે તેવી સ્થાનિક ખેડુતોમાં માંગ ઉઠવા પામી છે.