અમરેલી જિલ્લામાં હત્યા નિપજાવી દાગીના લૂંટતી ત્રિપુટી પકડાઈ

દામનગર પંથકમાં હત્યા સાથે ચાંદીના કડાની લૂંટ ચલાવી હતી
હત્યા સહિત કુલ પાંચ ગુના આચર્યાની કબૂલાત આપી, લૂંટની ઘટનામાં માલધારીઓને ટારગેટ કરતી હતી
દામનગરમાં જ રહેતા અને આ જ તાલુકામાં ગંભીર ગુનાઓ આચરીને નાસી જતાં અર્જુન ગોરધન નાવડિયા, હાર્દિક ઉર્ફે બાવલો ગોરધન નાવડિયા અને કિશન ભૂપત પરમારને દામનગરના પોલીસ ઈન્સપેકટર સી.એન.દવે અને સ્ટાફે પકડી પાડી લાલ આંખ કરતા જ આ શખ્સો પોપટ બની ગયા હતા.
આ શખ્સોની કબૂલાત મુજબ આ શખ્સોએ નીર ઉર્ફે બોડો વિનુ પરમાર, સાહિલ ઉર્ફ પાપુડો વિનુ પરમાર વિગેરે મળી દામનગર નજીક હજીરા ધાર વિસ્તારમાં દાનાભાઈ ધનાભાઈ કામનીયા નામના માલધારી ચેકડેમ પાસે ઢોર ચરાવી રહ્યા હતા ત્યારે આ શખ્સોએ માલધારી વૃદ્ધે પહેરેલા કાંડામાં ચાંદીના કડાની લૂંટ કરવા દાનાભાઈને પકડીને બાજુમાં આવેલા ખાડામાં પાણીમાં નાખી દઈ ડૂબાડી દઈને ચાંદીના કડાની લૂટ ચલાવી નાસી ગયા હતા. આ ઉપરાંત દામનગરના એક અન્ય માલધારીને આ જ મોડસ ઓપરેન્ડીથી ચાંદીના કડાની લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત સીમ વિસ્તારમાં કેબલ ચોરી, મોટર ચોરી સહિતના ગુનાઆની કબૂલાત આપી હતી.









