Gujarat

છોટા ઉદેપુર: બોડેલીમાં ભારે પવન સાથે વરસાદ, રેલવે ટ્રેક પર વૃક્ષ પડતાં વીજ લાઈન તૂટી, ટ્રેન વ્યવહાર ખોરવાયો

By GS TEAM
31 May 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં (31મી મે) વહેલી સવારે વાવાઝોડા જેવા જોરદાર પવન અને ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદના કારણે બોડેલી પંથકમાં વ્યાપક નુકસાન થયું હતું. બોડેલી અને જબુગામ વચ્ચે રેલવે લાઈન પર એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થવાને કારણે રેલવેની ઓવરહેડ વીજ લાઈન (OHE) તૂટી ગઈ હતી. આ દુર્ઘટનાના પગલે બોડેલીથી છોટા ઉદેપુર વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

છોટા ઉદેપુર: બોડેલીમાં ભારે પવન સાથે વરસાદ, રેલવે ટ્રેક પર વૃક્ષ પડતાં વીજ લાઈન તૂટી, ટ્રેન વ્યવહાર ખોરવાયો

Tree Falls on Railway Track in Bodeli: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં (31મી મે) વહેલી સવારે વાવાઝોડા જેવા જોરદાર પવન અને ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદના કારણે બોડેલી પંથકમાં વ્યાપક નુકસાન થયું હતું.  બોડેલી અને જબુગામ વચ્ચે રેલવે લાઈન પર એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થવાને કારણે રેલવેની ઓવરહેડ વીજ લાઈન (OHE) તૂટી ગઈ હતી. આ દુર્ઘટનાના પગલે બોડેલીથી છોટા ઉદેપુર વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.

રેલવે ટ્રેક બ્લોક થતાં અલગ-અલગ સ્ટેશનો પર ટ્રેનો રોકાઈ

મળતી માહિતી અનુસાર, ટ્રેક પર વૃક્ષ પડવાની અને હાઈટેન્શન વીજ લાઈન તૂટવાની ઘટનાને પગલે રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સુરક્ષાના પગલાં રૂપે કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક અસરથી આ રૂટની ટ્રેનોને જે-તે સ્ટેશને રોકી દેવાનો આદેશ કરાયો હતો. ડભોઈ તરફથી આવતી ટ્રેનને તાત્કાલિક બોડેલી રેલવે સ્ટેશન ખાતે જ રોકી દેવામાં આવી હતી. અલીરાજપુર તરફથી આવતી ટ્રેનને છોટા ઉદેપુર રેલવે સ્ટેશન પર ઊભી રાખી દેવામાં આવી હતી. ટ્રેનો અધવચ્ચે રોકાઈ જતાં સવારના સમયે મુસાફરી કરી રહેલા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: આણંદ અડાસ રેલવે બ્રિજ ધરાશાયી: 'આધુનિક ટેકનોલોજી હોવા છતાં ગર્ડર કેમ તૂટ્યું? અન્ય બ્રિજની પણ થશે ચકાસણી'-DRM વડોદરા

રેલવે પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ શરૂ

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રેલવેના ટેકનિકલ સ્ટાફ અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પાટા પર આડા પડેલા વૃક્ષને કાપીને હટાવવાની તેમજ તૂટી ગયેલી રેલવે વીજ લાઈનને રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.a

સૂત્રોના જણાવ્યાનુસાર, જોરદાર પવન અને વરસાદના કારણે માત્ર રેલવે જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોના આંતરિક વાહન વ્યવહાર અને વીજ પુરવઠા પર પણ માઠી અસર પડી છે. અનેક જગ્યાએ વીજળીના થાંભલા અને નાના-મોટા ઝાડ પડવાના કારણે વીજ ગુલ થવાની સમસ્યા સામે આવી છે. જોકે, રાહતની વાત એ છે કે આ સમગ્ર કુદરતી આફતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી.