Western Railway : ઘણી પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોમાં બેઠક ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરાતા રેલ મુસાફરી મુશ્કેલ બની છે. ભારે ભીડને કારણે પ્રાથમિક સુવિધાઓ અપ્રાપ્ય બની રહી છે. ફેરિયાઓ અને શિસ્તના અભાવથી મુસાફરો પરેશાન છે અને સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કરી રહ્યા છે.
ભારતીય રેલવેને દેશની જીવનરેખા ગણવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અનેક પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોમાં અતિભીડના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બેઠક ક્ષમતા કરતાં અનેકગણાં વધુ મુસાફરો ભરાતા ટ્રેનોમાં વ્યવસ્થા બગડી છે. ખાસ કરીને દૈનિક મુસાફરી કરનારા, વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે રેલ મુસાફરી હવે સુખદ નહીં, સહનશીલ બની ગઈ છે.
ઘણી ટ્રેનોમાં જનરલ અને સ્લીપર કોચોમાં એટલી ભીડ જોવા મળે છે કે, મુસાફરોને બેસવાની તો વાત જ દૂર, ઊભા રહેવા માટે પણ જગ્યા મળતી નથી. કોચોના દરવાજા પાસે લોકોના ટોળા ઉભા રહેતા હોવાથી અકસ્માતની ભીતિ સતત મંડરાય છે. મુસાફરોનું કહેવું છે કે બેઠક ઓછી અને મુસાફરો વધુ જેવી સ્થિતિ રોજિંદી બની ગઈ છે.
ભારે ભીડને કારણે ટ્રેનની પ્રાથમિક સુવિધાઓ પર પણ સીધી અસર પડી રહી છે. શૌચાલયનો ઉપયોગ કરવો, પીવાનું પાણી મેળવવું અથવા કોચમાં હવા પ્રવાહ મળવો મુશ્કેલ બની જાય છે. ઘણી વખત ટોઇલેટ સુધી પહોંચવું અશક્ય બનતાં મહિલાઓ અને વૃદ્ધ મુસાફરોને ભારે પરેશાની સહન કરવી પડે છે.
આ વચ્ચે ટ્રેનોમાં ફેરિયાઓની અવરજવર મુશ્કેલીને વધુ ઘેરી બનાવી રહી છે. ચા, નાસ્તા અને અન્ય સામાન વેચતા ફેરિયાઓ સાંકડી જગ્યામાંથી સતત પસાર થતાં રહે છે. આવી પરિસ્થિતિમાં મુસાફરો વચ્ચે બોલાચાલી અને અરાજકતા સર્જાય છે.
ભીડને કારણે આરક્ષિત બેઠકો પર બિનઆરક્ષિત મુસાફરો બેસી જતા હોવાના બનાવો પણ વધ્યા છે. ટિકિટ ચેકિંગ સ્ટાફ અને રેલવે પોલીસની મર્યાદિત હાજરીને કારણે સ્થિતિ પર પૂરતું નિયંત્રણ આવી શકતું નથી. પરિણામે મુસાફરો સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે.
મુસાફરોની માંગ છે કે, ભીડવાળી રૂટ્સ પર વધારાની ટ્રેનો ચલાવવામાં આવે, જનરલ કોચોની સંખ્યા વધારવામાં આવે અને પીક અવર્સ દરમિયાન કડક ટિકિટ ચેકિંગ કરવામાં આવે. સાથે જ ટ્રેનોમાં ફેરિયાઓ પર નિયંત્રણ લાવી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.
અતિભીડને કારણે ટ્રેનોમાં શિસ્તનો અભાવ અને સુરક્ષાનો પ્રશ્ન ગંભીર બની રહ્યો છે. રેલવે પોલીસ અને ટી.ટી.ઈ.ની સંખ્યા ઓછી હોવાથી અરાજકતા નિયંત્રિત થતી નથી


