Gujarat

કાલાવડના કૃષ્ણપુર ગામમાં પ્રેમલગ્નનો કરુણ અંત : 18 વર્ષની પરપ્રાંતિય શ્રમિક યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત

By GS TEAM
5 Mar 20262 mins read
TukuTouch Logo
માતા-પિતાની નારાજગી સાથેનો ઠપકો અને વહેવાર મૂકી દેતાં મનમાં લાગી આવવાથી યુવતીએ ગળા ફાંસા દ્વારા જીવ દીધો

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડના કૃષ્ણપુર ગામમાં પ્રેમલગ્નનો કરુણ અંત : 18 વર્ષની પરપ્રાંતિય શ્રમિક યુવતીનો ગળાફાંસા દ્વારા આપઘાત

Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કૃષ્ણપુર ગામમાં પ્રેમ લગ્નના મામલે એક કરુણા જનક કિસ્સો સામે આવ્યો છે. પ્રેમ લગ્ન કરનાર પરપ્રાંતિય શ્રમિક યૂવતિના માતા-પિતાએ ઠપકો આપીને વહેવાર મૂકી દેતાં તેણીને મનમાં લાગી આવ્યું હતું, અને ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.

ક્યારેક શબ્દો તલવારથી પણ ઘાતક સાબિત થાય છે. પ્રેમના વિશ્વાસ પર ઘર બાંધનાર એક યુવતી માટે પોતાના જ લોકોની નારાજગી જીવનથી મોટી લાગી ગઈ. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના કૃષ્ણપુર ગામે બનેલી આ હૃદયદ્રાવક ઘટના માત્ર એક પરિવાર નહીં, સમગ્ર સમાજને વિચારતા કરી દે તેવી છે. 

મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રીન્ગોલ ગામની 18 વર્ષીય લતાબેન અંકલેશભાઈ ગણાવાએ અંકલેશભાઈ સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ નવ દંપતી કૃષ્ણપુર ગામે વિપુલભાઈ સખીયાની વાડી ખાતે રહેતું હતું. પરંતુ યુવતીના માતા-પિતા અને પરિવારજનો આ લગ્નથી અસંતોષ વ્યક્ત કરતા હતા. કહેવામાં આવે છે કે તાજેતરમાં લતાબેને પોતાના માતા-પિતાને ફોન કરીને વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેમને સંબંધ ન રાખવા અને ફરી ફોન ન કરવા કહેતાં લગ્ન બાબતે ઠપકો આપવામાં આવ્યો હતો. પરિવારની નારાજગી અને કઠોર શબ્દોથી વ્યથિત થયેલી લતાબેને પોતાની રહેણાક વાડીમાં ઓઢણી (ચુદંડી) ગળે બાંધી છાપરાના પાઇપ સાથે લટકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો.

ઘટનાની જાણ થતાં જ પતિએ તાત્કાલિક તેને નીચે ઉતારી હોસ્પિટલ ખસેડી હતી. ગળાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન બેભાન હાલતમાં લતાબેનનું મૃત્યુ નીપજ્યું. આ બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સમક્ષ પતિએ નિવેદન નોંધાવ્યું છે. હાલ કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આવા બનાવ માત્ર એક યુવા જીવનનો અંત નથી, પરંતુ સમાજમાં વધતી માનસિક અસહિષ્ણુતા અને સંબંધોની નાજુકતાનો દર્પણ છે. પ્રેમલગ્ન જેવા મુદ્દાઓને લઈ પરિવારોમાં સર્જાતી તણાવપૂર્ણ પરિસ્થિતિ ઘણી વાર યુવાનોને એકલતા અને નિરાશાની કિનારે ધકેલી દે છે. આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે પરિવારોમાં સંવાદ, સમજૂતી અને માનસિક સહાયની વ્યવસ્થા અત્યંત જરૂરી છે. સમાજે પણ યુવાનોના નિર્ણયો પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ અભિગમ અપનાવવો જોઈએ. કારણ કે એક ક્ષણિક ભાવનાત્મક આંચકો, આખા પરિવારને જીવનભરનો શોક આપી જાય છે.