અમદાવાદ: ઈંટોના ભઠ્ઠા પર ટ્રેક્ટર ચાલકની બેદરકારીએ દોઢ વર્ષના માસૂમનો જીવ લીધો, અકસ્માત સર્જી ચાલક ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Accident: અમદાવાદના બારેજડી-કણીજ રોડ પર ઈંટોના ભઠ્ઠા પર મજૂરીકામ કરતા એક પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઈંટો ભરવા આવેલા એક ટ્રેક્ટર ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી ત્યાં રમી રહેલા દોઢ વર્ષના માસૂમ બાળકને કચડી નાખતા બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
રમી રહેલા માસૂમ પર ટ્રોલીનું વ્હીલ ફરી વળ્યું
મળતી માહિતી અનુસાર, મૂળ ઝાલોદના વતની અને છેલ્લા બે મહિનાથી આ ભઠ્ઠા પર પત્ની સાથે મજૂરીકામ કરતા 25 વર્ષીય રવિન્દ્ર ડામોરનો દોઢ વર્ષનો પુત્ર રૂદ્રાંશ ગત ત્રીજી એપ્રિલ ૨૦૨૬ના રોજ સાંજના સમયે ભઠ્ઠા નજીક રમી રહ્યો હતો. આ દરમિયાન કમલેશભાઈ વણઝારા નામનો ચાલક પોતાનું ટ્રેક્ટર લઈને ત્યાં ઈંટો ભરવા માટે આવ્યો હતો. તેણે આસપાસ જોયા વગર બેદરકારીપૂર્વક ટ્રેક્ટર આગળ લેતા રમી રહેલા રૂદ્રાંશ પર ટ્રેક્ટરની ટ્રોલીનું પાછળનું વ્હીલ ફરી વળ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે માસૂમના માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા તેણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.
આરોપી ચાલક ટ્રેક્ટર મૂકીને ફરાર
પોતાના હાથે અકસ્માત થયો હોવાનું જણાતા જ ટ્રેક્ટરચાલક કમલેશ વણઝારા ભયના માર્યો વાહન ત્યાં જ મૂકીને ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી ભઠ્ઠા પર કામ કરતા અન્ય મજૂરો અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતક બાળકના પિતા રવિન્દ્ર ડામોરે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.









