દાંતીવાડામાં દશામાની મૂર્તિ પધરાવવા જતાં યુવક પાણીમાં ડૂબી જતાં મોત, શોકનું મોજું ફરી વળ્યું
Dantiwada News: દશામાના વ્રતની પૂર્ણાહૂતિ નિમિત્તે દાંતીવાડા ડેમ પાસે આવેલી નદીમાં મૂર્તિ વિસર્જન કરવા ગયેલા એક યુવકનું પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મુકેશ માળી (રહે. ડીસા) નામનો યુવક તેના પરિવાર સાથે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે દાંતીવાડા ડેમ નજીક આવેલી નદીમાં ગયો હતો. મૂર્તિ પધરાવતી વખતે અચાનક તેનો પગ લપસી ગયો અને તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
પરિવારજનો અને આસપાસના લોકોએ બૂમાબૂમ કરતાં અન્ય લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
આ ઘટનાની જાણ થતાં દાંતીવાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દશામાના પવિત્ર તહેવાર પર બનેલી આ દુર્ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.