- તહેવારોમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માંગ
- પૂજાપા, ગરબાની અંતિમ ઘડીની ખરીદીમાં ગ્રાહકોનો ધસારો : મંદિરોમાં દર્શનાર્થીઓ ઉમટશે
માંડલ : સોમવારે રાજ્યભરમાં મા આદ્યશક્તિના નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ ગ્રામ્યના વિસ્તારોમાં પણ નવરાત્રી પર્વની ઉજવણી રંગેચંગે થાય છે. ત્યારે માંડલ બજારમાં નવરાત્રી પૂર્વે ટ્રાફિકજામ સર્જાયો હતો.
માંડલ નગર અને ગામડાઓમાં સંખ્યાબંધ જગ્યાઓ ઉપર નવરાત્રિના નવ દિવસ દરમ્યાન માતાજીના ગરબાની રમઝટ જામશે. સોમવારે નવરાત્રીના પર્વનો પ્રથમ દિવસ હોવાને લઈ આજ રવિવારે માંડલની બજાર વિસ્તાર, ચબૂતરા ચોક અને ત્રણ રસ્તા ઉપર પણ માતાજીના પૂજાપા, ગરબાની ખરીદીને લઈ માહોલ જામ્યો હતો. પરંતુ માંડલનો બજાર વિસ્તાર સાંકડો હોવાને લઈ તહેવારો દરમિયાન ટ્રાફિક સમસ્યા માથાનો દુઃખાવો બને છે. બજાર વિસ્તારમાં જ પ્રસિદ્ધ મંદિરો આવેલા છે જેથી બહારથી દરરોજ યાત્રાળુઓનો ધસારો પણ રહેતો હોય છે. વિસ્તારમાં જ શાકમાર્કેટ પણ ભરાય છે જેથી લઈ વાહનોની અવરજવરને લઈ સ્થાનિકોને ભારે અડચણરૂપ સ્થિતિનો સામનો કરવો પડે છે. તહેવારો દરમિયાન બજાર વિસ્તારમાં ટ્રાફીક સમસ્યાઓને નિવારવા સ્થાનિક રહીશો, દુકાનદારોમાં માંગણી ઉઠી છે.


