Gujarat

વિરમગામમાં આઇઓસી કોલોની રોડ પર ટ્રક ફસાતા વાહનવ્યવહાર ખોરવાયા

By GS TEAM
23 Jun 20252 mins read
વિરમગામમાં આઇઓસી કોલોની રોડ પર ટ્રક ફસાતા વાહનવ્યવહાર ખોરવાયા

રોડ પર રિસર્ફેસિંગ કરવા શહેરીજનોની માંગ

પાણીની લાઇન નાખ્યા બાદ કોન્ટ્રાક્ટરે રોડનું રિસરફેસિંગ નહીં કરતા વાહચાલકોને હાલાકી

વિરમગામ -  વિરમગામ શહેરના આઈ.ઓ.સી. કોલોની રોડ ઉપર આવેલા જજીસ બંગલા સામે ટ્રક ફસાઈ હતી. પાણી પુરવઠાની લાઈન નાખ્યા બાદ રોડ ઉપર જરૃરી પુરાણ કે વોટરિંગ કે રિસરફેસિંગ કરવામાં આવતું નથી તેના કારણે અવારનવાર વાહનો ફસાઈ જવાની ઘટના પ્રકાશમાં આવે છે જેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલી વેચવાનો વારો આવે છે.

 

વિરમગામ શહેરના આઇઓસી કોલોનીથી સ્વામિનારાયણ મંદિર સુધી કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા તાજેતરમાં પાણી પુરવઠાની લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. આ લાઈન નાખ્યા બાદ કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા રિસરફેસિંગ તેમજ જરૃરી પુરાણ કે વોટરિંગ ન કરવાના કારણે એક ટ્રક ઉતરી પડી હતી જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. નગરપાલિકાના જવાબદાર એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે રોષ ફેલાયો હતો.

 

અત્રે ઉલ્લેખનીય છે કે આઈઓસી કોલોની રોડ ઉપર રોડની સાઈડમાં લાખો રૃપિયાના ખર્ચ પેવર બ્લોક રોડની સાઈડમાં પાથરવામાં આવ્યા હતા પણ કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા લાઈન નાખતી વખતે પેવર બ્લોકતોડી નાખવામાં આવેલા છે. એક બાજુ પાણી પુરવઠાની લાઈન નાખ્યા બાદ રિસરફેસિંગ કરવામાં આવી નથી જ્યારે તેની સામે ભૂગર્ભ ગટરની લાઈન નાખવા માટે આરસીસી રોડ તોડી નાખવામાં આવ્યો છે જેના કારણે સોસાયટી વિસ્તારમાં રહેતા રહીશો અને વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. નગરપાલિકાના જવાબદાર તંત્ર જરૃરી કાર્યવાહી કરી તોડેલ પેવર બ્લોક તેમજ નાખેલ પાણી પુરવઠાની લાઈન ઉપર રિસરફેસગ કરાવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. નગરપાલિકાના જવાબદાર એન્જિનિયર કોન્ટેકટર સામે શું કાર્યવાહી કરે છે તે તરફ સૌ મીટ માંડીને બેઠા છે.