દ્વારકામાં અષાઢી બીજે દ્વારકાધીશ મંદિર પરિસરમાં પરંપરાગત રથયાત્રા યોજાશે
શ્રીજીનાં બાળ સ્વરૂપને ચાંદીના રથમાં મંદિરે ફરતે 4 પરિક્રમા કરાવાશે
જગત મંદિર પરિસરમાં માતા દેવકીજીનાં મંદિર પાસે આવેલા સ્તંભ સાથે રથને અથડાવી સચરાચર વર્ષાની કામના કરાશે
દ્વારકાના જગત મંદિરમાં તા. ૨૮ ના રોજ અષાઢી બીજના દિવસે સાંજે ૫ થી ૭ સુધી પુષ્ય નક્ષત્ર અનુસાર દ્વારકાધીશ ભગવાનના રથયાત્રાનું આયોજન કરાયું છે.જગત મંદિરમાં ભગવાન શ્રીજીના બાળ સ્વરૂપને ચાંદીના રથમાં પધરામણી કરાવી મંદિર પૂજારી દ્વારા દ્વારકાધીશના મુખ્ય ગર્ભગૃહને ફરતે ચાર વખત પરિક્રમા કરાવવામાં આવશે. મંદિર પરિસરમાં પૂજારી પરિવાર સાથે આયોજિત રથયાત્રા મહોત્સવમાં હજારો ભાવિકો જોડાશે.
દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે પરંપરા મુજબ શ્રીજીના બાળ સ્વરૂપને ગર્ભગૃહમાંથી બહાર લાવીને ભકતો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશને બાળ સ્વરૂપે ચાંદીના રથમાં બેસાડીને શ્રીજીને મુખ્ય મંદિરની ફરતે ચાર વખત પરિક્રમા કરવામાં આવે છે. શ્રીજીની દરેક પરિક્રમા બાદ ભોગ અને આરતી પણ કરવામાં આવે છે. જે અનુસાર રથયાત્રા દરમ્યાન ઠાકોરજીના બાલસ્વરૂપની ચાર પરિક્રમાં જગતમંદિર પરિસરમાં યોજવામાં આવશે.
ભગવાન દ્વારકાધીશના બાળ સ્વરૂપની મુખ્ય મંદિરની ચોથી પરિક્રમા બાદ દ્વારકાધીશના મુખ્ય મંદિરની સામે આવેલાં માતા દેવકીજીના મંદિર પાસે આવેલા સ્તંભ સાથે અથડાવવામાં આવશે. લોકવાયકા મુજબ શ્રીજીના આ રથને આ સ્તંભ સાથે અથડાવાથી આકાશમાં વાદળો બંધાય છે અને દરેક જગ્યાએ સારો વરસાદ વરસે છે. સારા વરસાદથી ઉત્તમ પાક થતાં ખેડૂતો - લોકોના ઘર ધન-ધાન્યથી ભરાય છે તેવી માન્યતા છે.