ગિરનાર ફરતે 36 કિમીના રૂટ પર દૂધધારા વહાવી પરંપરાગત પરિક્રમા
'હર હર મહાદેવ' અને 'જય ગિરનારી'નો નાદ ગુંજી ઉઠયો : સાડા છ દાયકાથી ચાલી આવતી પરંપરામાં સારા વરસાદની અને સર્વેના સુખ-શાંતિની પ્રાર્થના, 200થી વધુ ભાવિકો જોડાયા
જૂનાગઢ, : જેઠ વદ અગિયારસ નિમિત્તે આજે પરંપરાગત રીતે ગિરનારની દૂધધારા પરિક્રમા યોજાઈ હતી. જેમાં 36 કિલોમીટરના રૂટ પર દૂધની ધારા વહાવી પ્રકૃતિની પૂજા, સારા વરસાદ તેમજ લોકોની સુખ- શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પરિક્રમા દરમ્યાન હર હર મહાદેવ અને જય ગિરનારીનો નાદ ગુંજી ઉઠયો હતો. દર વર્ષે જેઠ વદ અગીયારસની યોગીની એકાદશી તરીકે ઉજવણી થાય છે. જૂનાગઢમાં આ એકાદશી નિમીતે સાડા છ દાયકાથી ગિરનાર ફરતે 36 કિલોમીટરના રૂટ પર દુધની ધારા વહાવી દુધધારા પરિક્રમા કરવામાં આવે છે. સામાન્ય રીતે આ દિવસો સુધીમાં વરસાદ થઈ ગયો હોય છે આથી પ્રકૃતિ પણ ખીલી હોય છે. પ્રકૃતિ પ્રત્યેનો આભાર વ્યક્ત કરવા તેમજ વધુ સારો વરસાદ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવે છે.
આજે યોગીની એકાદશી નિમીતે સવારે ભાવિકોએ ભવનાથ મહાદેવ મંદિર ખાતે મહાદેવને અભિષેક કર્યો હતો. બાદમાં હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદ સાથે દુધધારા પરિક્રમાનો પ્રારંભ થયો હતો. જેમાં 200થી વધુ લોકો જોડાયા હતા. 36 કિલોમીટર સુધી તાંબાના પાત્રમાં દુધ ભરી સમગ્ર રૂટ પર દુધની ધારા વહાવવામાં આવી હતી. જેમાં અંદાજે 150 લિટરથી વધુ દુધનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરિક્રમાર્થીઓ માટે રૂટ પર પ્રસાદીની વ્યવસ્થા રાખવામાં આવી હતી. વન વિભાગ દ્વારા યાત્રિકોની સુરક્ષા માટે રૂટ પર બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. સાંજે જય ગિરનારીના નાદ સાથે યાત્રિકો તળેટીમાં પરત આવી પરિક્રમા પૂર્ણ કરી હતી.