Gujarat

નવરાત્રિની આઠમ-નોમ: માતાજીને નૈવેદ્ય ધરાવવાની અખંડ પરંપરા, જાણો તેની પાછળનો ભાવ અને પ્રણાલી

By GS TEAM
29 Sep 20252 mins read
TukuTouch Logo
આધ્યાત્મિક શ્રદ્ધા અને ભક્તિનો પર્વ એટલે નવરાત્રિ. નવ દિવસની આરાધનામાં ખાસ કરીને આઠમ અને નોમના પવિત્ર દિવસે કુળદેવી અને આરાધ્યા માતાજીને નૈવેદ્ય ધરાવવાની વર્ષો જૂની પરંપરા સમગ્ર ગુજરાતમાં શ્રદ્ધાપૂર્વક નિભાવવામાં આવે છે. આ વિધિ માત્ર એક ધાર્મિક ક્રિયા નહીં, પરંતુ ભાવના અને શક્તિના સન્માનનું પ્રતીક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવરાત્રિની આઠમ-નોમ: માતાજીને નૈવેદ્ય ધરાવવાની અખંડ પરંપરા, જાણો તેની પાછળનો ભાવ અને પ્રણાલી
AI Image

Navratri 2025: આધ્યાત્મિક શ્રદ્ધા અને ભક્તિનો પર્વ એટલે નવરાત્રિ. નવ દિવસની આરાધનામાં ખાસ કરીને આઠમ અને નોમના પવિત્ર દિવસે કુળદેવી અને આરાધ્યા માતાજીને નૈવેદ્ય ધરાવવાની વર્ષો જૂની પરંપરા સમગ્ર ગુજરાતમાં શ્રદ્ધાપૂર્વક નિભાવવામાં આવે છે. આ વિધિ માત્ર એક ધાર્મિક ક્રિયા નહીં, પરંતુ ભાવના અને શક્તિના સન્માનનું પ્રતીક છે.

નવરાત્રિ 2025: આઠમ અને નોમની તારીખો

આવતીકાલે 30 સપ્ટેમ્બર, મંગળવારના રોજ આઠમ એટલે કે દુર્ગા અષ્ટમી છે. આ દિવસે માતાજીના નૈવેધની સાથે કન્યા પૂજન, સંધિ પૂજન પણ કરવાની પરંપરા છે. જ્યારે 1 ઓક્ટોબર, બુધવારના રોજ નોમ એટલે કે મહા નવમી છે. આ દિવસે નવરાત્રિનું સમાપન થાય છે. ઘણા લોકો નોમના દિવસે પણ નૈવેધ, હવન, અને પૂજા કરે છે.

નૈવેદ્ય: શ્રદ્ધાનું પ્રતીક

નૈવેદ્ય એ રોજના પ્રસાદ તરીકે કે પછી ચૈત્ર કે આસો માસ જેવા વિશિષ્ટ પર્વો પર મહાપ્રસાદ તરીકે કરવામાં આવે છે. આ ઉપરાંત, તહેવાર, પ્રસંગ કે પારિવારિક રિવાજ માર્ગદર્શન મુજબ પણ તેનું આયોજન થાય છે. આ વિધિમાં ભક્તો પોતાની શ્રદ્ધા અને નિષ્ઠા સાથે બનાવેલી વાનગીઓ ઈશ્વરને અર્પણ કરે છે.

નૈવેદ્ય તૈયાર કરતી વખતે શુદ્ધિ જળવાય તે માટે તેને સામાન્ય રીતે એક થાળીમાં પરોસી, તેના પર બીજી થાળી ઢાંકીને રસોઈ કક્ષથી ભગવાન પાસે લાવવામાં આવે છે. ત્યાં તેને પાટ કે બાજોઠ પર મૂકીને પાણીના લોટા સાથે રિવાજ મુજબ ઘંટડી, દીપ અને જળ વડે સિંચન જેવી બાબતો દ્વારા આગળની પૂજા કરવામાં આવે છે.

વાનગીઓનો વૈવિધ્ય અને મુખ્ય ભાવ

ખાસ નૈવેદ્યમાં પ્રાંતીય કે પારિવારિક રિવાજ પ્રમાણે વિવિધ વાનગીઓનો ઉપયોગ થાય છે, જેમાં રોટલી, શાક, ભાત, દાળ, ખીર, વડા, મગ કે તલની કોઈ ખાસ બનાવટ વગેરેનો સમાવેશ થાય છે.

નૈવેદ્ય રોજના હોય કે વાર્ષિક, તેનો મુખ્ય ભાવ પોતાના કુળદેવી, દેવતા કે આરાધ્યને સંતુષ્ટ કરવાનો અને તેમની કૃપાદૃષ્ટિ જાળવી રાખવાનો હોય છે. આ ક્રિયા દ્વારા ભક્ત પોતાની ભક્તિમાં થયેલી ભૂલચૂક બદલ માફી માગીને શ્રદ્ધા જાળવી રાખે છે. દેવતાઓની કૃપા મેળવવા માટે હનુમાનદાદા, ભૈરવ દાદા કે ગ્રામદેવતાને પણ વિશિષ્ટ માર્ગદર્શન મુજબ નૈવેદ્ય અર્પણ કરાય છે.

આ પણ વાંચો: આધુનિક ગરબા વચ્ચે 200 વર્ષ જૂની 'ઘેરૈયા' પરંપરા અકબંધ, જાણો સુરતીઓ આદિવાસી રાસને કેમ ગણે છે શુકનિયાળ

જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાનું કહેવું છે કે, શાસ્ત્રો મુજબ, ભગવાન તમારી ભાવના અને શ્રદ્ધા જુએ છે. જ્યારે ભક્ત નિષ્ઠાપૂર્વક આરાધના કરે છે, ત્યારે દેવતા પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે, જેનાથી ભક્તને આર્થિક, શારીરિક અને પારિવારિક ખુશી પ્રાપ્ત થાય છે. આમ, નવરાત્રિની આઠમ અને નોમનો દિવસ શ્રદ્ધાળુઓ માટે પોતાની આસ્થાને વ્યક્ત કરવાનો અને માતાજીના આશીર્વાદ મેળવવાનો ઉત્તમ અવસર બની રહે છે.