Gujarat

લીંબડીના બાહેલાપરામાં 30 વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યાથી વેપારીઓમાં રોષ

By GS TEAM
25 Mar 20262 mins read
લીંબડીના બાહેલાપરામાં 30 વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યાથી વેપારીઓમાં રોષ

પ્લસ્ટિકના ઝભલાના કારણે ગટર ચોકઅપ થતી હોવાની રાવ

અઠવાડિયામાં બે વાર ગટર ઉભરાતા દુર્ગંધથી દુકાનોમાં વેપારીઓને બેસવું મુશ્કેલ બન્યું, ઘરાકી ઘટતા માઠી અસર

સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો વેપારીઓની આંદોલનની ચીમકી

લીંબડી - લીંબડીના બાહેલાપરા વિસ્તારમાં આવેલ સરોવરીયા હનુમાનજી મંદિર ચોક અને શાક માર્કેટ પાસે છેલ્લા ૩૦ વર્ષથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યાએ વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું છે. દર અઠવાડિયે બે વાર ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, ગટરની અસહ્ય દુર્ગંધને કારણે દુકાનોમાં બેસવું પણ મુશ્કેલ બન્યું છે, જેને પગલે ગ્રાહકો આવતા બંધ થતાં વેપાર-ધંધા ચોપટ થઈ રહ્યા છે.

વેપારી અનવરભાઈએ આક્રોશ સાથે જણાવ્યું કે, આ સમસ્યા અંગે નગરપાલિકાના ચાર પ્રમુખો અને અનેક ચીફ ઓફિસરને અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર નિરાકરણ લાવવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે. અગાઉ લાખોના ખર્ચે મોટી ભૂગર્ભ ગટર લાઈન નાખવામાં આવી હતી, ત્યારબાદ ૪૦ લાખના ખર્ચે નાની લાઈન પણ બની, છતાં સ્થિતિ જસની તસ છે. શાકભાજીના વેપારીઓ કચરા અને પ્લાસ્ટિકના ઝબલા આડેધડ ફેંકતા ગટરમાં ફસાવાને કારણે ગટર વારંવાર જામ થઈ જાય છે.

સ્થાનિક વેપારી દિલીપભાઈએ ઉમેર્યું કે, ગંદા પાણીના કારણે રોડ પર મોટા ખાડા પડી ગયા છે. પાલિકાએ શહેરના અન્ય વિસ્તારોમાં ખાડા પૂરવાની કામગીરી કરી પરંતુ સરોવરીયા હનુમાન ચોક વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે. તંત્રની આ નિષ્ક્રિયતા સામે વેપારીઓએ અંતિમ ચેતવણી આપી છે કે જો આગામી ૧૫ દિવસમાં ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે, તો તમામ વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે.