Get The App

પોખરામાં ફસાયેલા ભાવનગરના પ્રવાસીઓ સુરક્ષિત ભારત પહોંચ્યા

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
પોખરામાં ફસાયેલા ભાવનગરના પ્રવાસીઓ સુરક્ષિત ભારત પહોંચ્યા 1 - image


- નેપાળમાં જનરેશન-ઝેડના હિંસક આંદોલનથી પ્રવાસીઓના જીવ તાળવે ચોટયાં હતા

- નેટવર્ક ઈસ્યુના કારણે સવારે સંપર્ક થઈ શકતો ન હતો, સ્થાનિક વહીવટી તંત્રએ ભારતીય દૂતાવાસ અને કમિશનરને માહિતગાર કર્યા

ભાવનગર : નેપાળમાં ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ સહિતના પ્રશ્નોને લઈ યુવાનોએ જનરેશન-ઝેડ નામે આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલને બીજા દિવસે હિંસક સ્વરૂપ ધારણ કરતા પશુપતિનાથ અને અન્ય ધાર્મિક સ્થળોએ યાત્રામાં ગયેલા ભાવનગર જિલ્લાના પ્રવાસીઓ ફસાયા હતા. જેઓ આજે બપોરે પોખરાથી સલામત ભારત પહોંચી જતાં યાત્રિકો અને તેમના પરિવારજનોએ રાહતનો દમ લીધો હતો.

નારી ગામ, સિહોર, વરતેજ સહિતના ગામોમાંથી કુલ ૩૬ પ્રવાસી, રસોયા, આયોજન મળી કુલ ૪૩થી વધુ લોકો ગઈકાલે મંગળવારે નેપાળમાં ફાટી નીકળેલા તોફાનના કારણે પોખરાની એક હોટલમાં ફસાયા હતા. માઁ ટૂર એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આયોજીત પ્રવાસમાં મોટાભાગના વૃદ્ધો હોય, વિસ્ફોટક સ્થિતિથી ગભરાઈ ગયા હતા. દરમિયાનમાં ભાવનગરના રાજકીય નેતાઓ, સ્થાનિક વહીવટી તંત્રએ તેઓનો સંપર્ક કરી વહેલી તકે નેપાળમાંથી બહાર કાઢવા આશ્વાસન આપ્યું હતું. આજે સવારે નેટવર્ક ઈસ્યુના કારણે તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો. બાદમાં બપોરે સંપર્ક થતાં તેઓ ટુરિસ્ટ બસમાં જ બેસી પોખરાથી નીકળી ગયા હતા અને રાત્રિ સુધીમાં ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે સુરક્ષિત રીતે પહોંચ્યા હોવાનું જિલ્લા વહીવટી તંત્ર તરફથી સત્તાવાર રીતે જણાવાયું છે. વધુમાં પોખરામાં ૪૩ તેમજ કાઠમાંડુંમાં સિહોરના બે મળી કુલ ૪૫થી વધુ યાત્રિક ફસાયા હતા. તેમની તમામ માહિતી ગાંધીનગર રેઝીડેન્ટ કમિશનર, ભારતીય દૂતાવાસને મોકલી આપી હોવાનું જિલ્લા કલેક્ટરે ઉમેર્યું હતું.

એક બસ રાત્રે જ નેપાળ બોર્ડર પાર ભારત આવી

ભાવનગર શહેરમાંથી પણ એક ખાનગી લકઝરી સ્લીપર બસ નેપાળ ગઈ હતી. આશરે ૩૫ જેટલા યાત્રાળુઓ સાથેની આ બસ ગઈકાલે રાત્રે જ જનકપુરથી નેપાળ બોર્ડર પાર કરી ભારત આવી ગઈ હતી. નેપાળમાં હિંસક આંદોલન ચાલી રહ્યું છે. પરંતુ ત્યાંના સ્થાનિકો કોઈ યાત્રિકોને નુકશાની નથી પહોંચાડી રહ્યા. પોખરામાં ગુજરાતી યાત્રિકોને હોટલ માલિકો દ્વારા વિનામૂલ્યે રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. તેમજ યાત્રિકોની બસને આર્મીના બંદોબસ્ત સાથે સુરક્ષિત સ્થાન સુધી પહોંચાડવામાં આવી રહી હોવાનું ભાવનગર જિલ્લા ટુર એન્ડ ટ્રાવેલ્સ એસો.ના પ્રમુખ રાજભા ગોહિલે જણાવ્યું હતું.

પોલીસે પાઈલોટિંગ આપ્યું, સ્થાનિકોની મદદ મળી

નેપાળના હિંસક આંદોલનમાં ફસાયેલી ભાવનગરની ખોડિયાર ટ્રાવેલ્સની બસ યાત્રિકો સાથે હેમખેમ બોર્ડર પાર કરી ચુકી છે. આ બસ ગત ૨૯-૮ના રોજ ભાવનગરથી ૩૫ મહિલા યાત્રિકો અને સ્ટાફ મળી ૪૦થી ૪૨ લોકો સાથે ટુર માટે નીકળી હતી. નેપાળમાં પશુપતિનાથ, મુક્તિધામ, પોખરા અને બાદમાં ગઈકાલે બપોરે જનકપુર સાઈડસીન કરી રહ્યા હતા. ત્યારે સ્થિતિ બેકાબૂ થવા લાગતા નેપાળ પોલીસે દોડી આવી જનકપુરથી નીકળી જવા ભલામણ કરી તેમના વાહનનું પાઈલોટિંગ આપ્યું હતું. રસ્તામાં ટોળાએ ચાર કલાક સુધી બસને ઉભી રખાવી હતી. બસ ભારતીય પ્રવાસીઓની હોય, ટોળાએ એકપણ વ્યક્તિ સાથે દુર્વ્યવહાર કે બસને નુકશાની કરી ન હતી અને બાદમાં બસને નેપાળ બોર્ડર ક્રોસ કરાવવામાં પણ પોલીસની સાથે સ્થાનિકોની મદદ મળી હતી. આજે તમામ યાત્રિકો અયોધ્યા હોવાનું ટુરના આયોજક રીટાબેન ચૌહાણ અને બસના ડ્રાઈવર લાલાભાઈ (સિહોર)એ જણાવ્યું હતું.

Tags :