Gujarat

ઉત્તરસંડામાં પ્રેમલગ્ન કરેલી પરિણીતાને વહેમ રાખી ત્રાસ

By GS TEAM
24 Jul 20252 mins read
ઉત્તરસંડામાં પ્રેમલગ્ન કરેલી પરિણીતાને વહેમ રાખી ત્રાસ

પતિ વિરૂદ્ધ શારીરિક- માનસિક ત્રાસની ફરિયાદ

દારૂ પી ખોટો વહેમ રાખી પત્નીને મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકવા પતિનું દબાણ

નડિયાદ: નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામની યુવતીએ ગામમાં રહેતા યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બાદમાં પરિણીતાને પતિ ખોટો વહેમ રાખી ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મૂકવા દબાણ કરતો હતો. 

આ બનાવ અંગે પરિણીતાની ફરિયાદના આધારે વડતાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ધનજીભાઈની ખડકીમાં રહેતી પિનલબેન પટેલના લગ્ન ગામમાં નવા દરવાજા ખાતે રહેતા ચિરાગ ઘનશ્યામભાઈ પટેલ સાથે ૨૦૧૧માં થયા હતા. શરૂઆતમાં પતિ પત્નીનું લગ્નજીવન સુખમય હતું. ત્યારબાદ પરિણીતાને ગર્ભ રહેતા પતિ ગર્ભપાત કરાવવા મારજુડ કરતા પત્ની પિયર ચાલી ગઈ હતી. ત્યારબાદ પતિને અકસ્માત થતા પત્ની પિયરમાં આવી રહેતી હતી. પરંતુ ત્રણ મહિનામાં જ પતિએ ત્રાસ ગુજારવાનું શરૂ કરતા પરિણીતા ફરીથી પિયરમાં ચાલી ગઈ હતી અને આઠ વર્ષથી ભાડાના મકાનમાં રહેતી હતી. દરમિયાન પતિએ હું વિદેશ જવાનો છું તું આવી છે, જા અને પિતાની સંભાળ રાખજે તેમ કહેતા પીનલ દીકરાને લઈ સાસરીમાં આવી ગઈ હતી. છતાં પતિ રાત્રે દારૂ પી ઘરે આવી ખોટો વહેમ રાખી પત્નીને મારજુડ કરી ત્રાસ ગુજારતો હતો તેમજ ઘરમાંથી કાઢી મૂકવા દબાણ કરી તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરજે મારું કોઈ બગાડી શકવાનું નથી કહી શારીરિક માનસિક ત્રાસ ગુજારતો હતો. આ બનાવ અંગે પીનલબેન ચિરાગભાઈ પટેલની ફરિયાદના આધારે વડતાલ પોલીસે ચિરાગભાઈ ઘનશ્યામભાઈ પટેલ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.