યુનિ.ના મનોવિજ્ઞાન ભવનનું સર્વેક્ષણ : ઈન્ટરનેટ ઘાતક પુરવાર થશે શિક્ષિત કરતા અશિક્ષિત લોકો વધુ સહનશીલ : સામાન્ય ઠપકાને લીધે આપઘાત કે ઘર છોડી જવાના વધતા જતા બનાવો ચિંતાજનક
રાજકોટ, : કોરોનાને કારણે ઓનલાઈન શિક્ષણની જે પદ્ધતિ અમલમાં આવી છે તેના કારણે વિદ્યાર્થીઓમાં સહનશિલતાનું પ્રમાણ ઘટયું છે. જે બાબત ચિંતાજનક હોવાનું જણાવી યુનિ.ના મનોવિજ્ઞાાન ભવન દ્વારા આરોગ્ય નિર્માણનો સાચો આધાર સહનશિલતા ઉપર નિર્ભર હોય છે. ત્યારે ઓનલાઈન શિક્ષણને લીધે ઘટતી જતી સહનશિલતા ભવિષ્યમાં આજના વિદ્યાર્થીઓ માટે ઘાતક પુરવાર થશે તેવી લાગણી દર્શાવવામાં આવી છે.
કોરોનાના સમય કાળમાં પ્રાથમિક અને માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય લાંબા સમયથી ઓનલાઈન ચાલી રહ્યું છે. તેની અસરો વિશેનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યા બાદ તેના તારણો રજૂ કરી મનોવિજ્ઞાાન ભવનનાં અધ્યાપકોએ જણાવ્યું હતું કે ઈલેક્ટ્રોનિક્સ યુગમાં આજના બાળકો ટીવી, મોબાઈલ અને ઈન્ટરનેટમાં વધુ સમય સુધી ખુંપેલા રહે છે. જેના કારણે બાળકો માતા-પિતાને અવગણે છે. માતા-પિતા જુદી-જુદી સમસ્યાઓમાં ફસાયેલા હોવાથે લીધે બાળકોને સમય આપી શકતા નથી. પરિણામે તરૂણ વયના કિશોરો અને યુવાનોમાં સહનશિલતાનો અભાવ જોવા મળે છે. સહનશિલતાના અભાવે ક્રોધ અને દુશ્મનાવટ કે ઈર્ષ્યાનું પ્રમાણ વધતું જાય છે. પરિણામે કોઈ આપઘાત કે છે, તો કોઈ ઘર છોડી જાય છે. કોઈક ઠપકો આપે એટલે ભણવાનું બંધ કરી દેવામાં આવે છે.
ઘટતી જતી સહનશિલતા વિશે હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે પ્રૌઢ લોકો ૬૫.૩૦ ટકા સહનશક્તિ હોય છે. જ્યારે યુવાનોમાં માત્ર 9 ટકા અને બાળકોમાં 5.10 ટકા સહનશક્તિનું પ્રમાણ જોવા મળ્યું છે. જેના માટે 74.90 લોકોએ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિને જવાબદાર ગણી છે. 64.70 ટકા લોકોએ શિક્ષિત કરતાં અશિક્ષિત લોકો સહનશિલ હોવાનું જણાવ્યું છે. જ્યારે 60.80 ટકા લોકોએ આર્થિક સ્થિતિ વધવાથી સહનશક્તિ ઘટી હોવાનું જણાવ્યું હતું.
આ સ્થિતિમાં વ્યક્તિએ સહનશિલતા કેળવવા માટે લાગણીઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. વ્યહારમાં પરિવર્તન લાવવાથી અહંકારથી દૂર રહી શકાય છે. તેમજ બીજાની વાતનો સ્વીકાર કરવાની ટેવ પાડવાથી સહનશિલતા કેળવાય છે. સહનશિલ વ્યક્તિઓ જ સર્મથ વ્યક્તિત્વનું ઘડતર કરી શકે છે.


