Gujarat

શૌચાલયની જગ્યાનો ભજીયા બનાવવા ઉપયોગ, શાસ્ત્રીનગર પછી દિલ્હી દરવાજા પાસે શૌચાલય તોડાયુ

By GS TEAM
7 Jul 20251 min read
શૌચાલયની જગ્યાનો ભજીયા બનાવવા ઉપયોગ, શાસ્ત્રીનગર પછી દિલ્હી દરવાજા પાસે શૌચાલય તોડાયુ


અમદાવાદ,સોમવાર,7 જુલાઈ,2025

શાસ્ત્રીનગર વિસ્તારમાં ભાજપ કાર્યકર દ્વારા દુકાન પાસેનુ નડતરરૃપ શૌચાલય તોડાયુ હતુ. હવે દિલ્હી દરવાજા  લીમડા ચોક પાસે દુકાનને નડતરુપ શૌચાલય તોડી એ જગ્યામાં ભજીયા બનાવવાની વ્યવસ્થા દુકાનદાર દ્વારા કરાઈ છે.બે મહીના પહેલા દુકાનને નડતરુપ શૌચાલય ભાજપના વોર્ડ પ્રમુખ ના કહેવાથી તોડી પડાયુ હતુ. તોડી પડાયેલા શૌચાલયની જગ્યામાં પેવરબ્લોક નાંખી ભજીયા બનાવવા ઉપયોગ કરાઈ રહયો છે. આમ છતાં કોર્પોરેશન તંત્ર અંધારામા રહયુ છે.

દિલ્હી દરવાજા પાસે બે મહીના પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલુ શૌચાલય તોડી પડાયુ હતુ. આ વિસ્તાર શાહપુર વોર્ડમાં આવે છે. ભાજપના મહિલા કોર્પોરેટર રેખા બહેન ચૌહાણના કહેવા મુજબ, આ શૌચાલયના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી થતી હોવાથી અમે શૌચાલયની સફાઈ કરવા કોર્પોરેશનમાં રજુઆત કરી હતી. જે સ્થળે શૌચાલય હતુ તેની  નજીકમાં જ શ્રી ગોપાલ વિજય ભજીયા હાઉસ નામની દુકાન આવેલી છે. શૌચાલય તોડી પાડી તે જગ્યામાં પેવરબ્લોક નાંખી જગ્યાનો ભજીયા બનાવવા ઉપયોગ કરાઈ રહયો હોવાની વિગત બહાર આવી છે.આ દુકાન ઘણાં સમયથી બંધ હાલતમા હતી. પંદર દિવસ પહેલા જ દુકાન શરુ કરાઈ હોવાનુ સ્થાનિકો પાસેથી જાણવા મળ્યુ છે. મધ્યઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટના કહેવા મુજબ, શૌચાલય તોડી પાડવા મામલે પોલીસને જાણ કરી છે.