આજે શરદ સંપાતઃ રાત્રિ દિવસ સરખા,હવેથી દિવસો ટૂંકા થશે
Updated: Sep 22nd, 2022
વર્ષમાં 21માર્ચ અને 23 સપ્ટેમ્બર હોય છે દિવસ સરખા : આ દિવસે પૃથ્વીની ભૂમધ્યરેખા ઉપર હોય છે સૂર્ય, ઈક્વીનોક્સ લેટિન શબ્દ જેનો અર્થ છે સરખી રાત્રિ
રાજકોટ, : પૃથ્વીની ઋતુગત સ્થિતિને કારણે દર વર્ષે તા. 21 માર્ચ અને આવતીકાલ તા. 23 સપ્ટેમ્બર ઈક્વીનોક્સ સર્જાઈ છે જ્યારે ધરતીની ભુમધ્ય રેખા અર્થાત્ વિષુવવૃત પર સૂર્યના સીધા કિરણો પડે છે અને ઉત્તર અને દક્ષિણ બન્ને ગોળાર્ધ સૂર્ય તરફ સમાન રીતે નમેલા હોય છે જે કારણે ધરતી પર દિવસ અને રાત્રિ સમાન સમયના થઈ જાય છે. ભારતમાં આ સ્થિતિ સપ્ટેમ્બર એટલે કે શરદ ઋતુમાં આવતી હોય તેને શરદ સંપાત કહે છે. અને આ દિવસ પછી હવે દિવસો ટૂંકા થશે અને રાત્રિ લાંબી થતી જશે.
વર્ષના 365 દિવસમાં માત્ર આ બે જ દિવસો હોય છે જ્યારે પૃથ્વીની ધરી સૂર્યથી દૂર કે નજીક નહીં હોતી નથી અર્થાત્ સૂર્ય વિષુવવૃતની ઉત્તરે કે દક્ષિણે નહીં પણ બરાબર ઉપર હોય છે. અને આ દિવસે દિવસ-રાત સંપૂર્ણતઃ (સેકન્ડના ફેરફાર વગર) નહીં પણ 'લગભગ સરખા' હોય છે. જેને ઈક્વીનોક્સ કહે છે અને એ લેટિન શબ્દનો અર્થ સરખી રાત્રિ થાય છે અને ગુજરાતીમાં તેને વિષુવકાળ પણ કહે છે.
લોકોના દૈનિક જીવન પર આ દિવસનું મહત્વ એ રીતે હોય છે કે હવે દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી થતી જશે, એટલે કે રાત્રિના કૃત્રિમ પ્રકાશ (વિજળી)ની જરૂર વધતી જશે અને તે સાથે શિયાળાની પણ શરૂઆત થશે. સ્થાનિક સમય જોઈએ તો રાજકોટમાં તા.28 સપ્ટેમ્બરે 6.37એ સૂર્યોદય અને સાંજે 6.37 એ સૂર્યાસ્ત થશે. તા. 17 નવેમ્બરથી સૂર્યોદય સવારે 7 વાગ્યાથી થશે.સૂર્યોદય મોડો અને સૂર્યાસ્ત વહેલો થવા લાગશે.